12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી
ચા વેચનારથી દેશના સર્વશક્તિશાળી વડાપ્રધાન સુધીની નરેન્દ્રભાઈ મોદીની અદભૂત સફર
રાજકોટ…..
આજે દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ કરતા નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર દેશભરમાં ચર્ચાના કેન્દ્ર બન્યા છે. 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે શપથ લેનાર મોદી આજે સતત ત્રીજી ટર્મ સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના એક સામાન્ય પરિવારથી શરૂ થયેલી આ સફર આજે વિશ્વ રાજકારણ સુધી પહોંચી છે.
એક સમય એવો હતો જ્યારે કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્ય કરનાર વ્યક્તિ એક દિવસ ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન બનશે. તે પણ કોઈ રાજકીય પરિવારના આધાર વગર. પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કર્યું કે રાજકારણમાં મહેનત, દૃઢ ઈચ્છાશક્તિ અને જનસંપર્ક હોય તો અસંભવ પણ સંભવ બની શકે. સંઘના કાર્યકર તરીકે શરૂઆત કરનાર મોદી સંગઠનમાંથી આગળ વધતા સીધા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા. આ સફર દરમિયાન તેમણે અનેક વિરોધો, રાજકીય હુમલા અને પડકારોનો સામનો કર્યો, પરંતુ દરેક વખત તેઓ વધુ મજબૂત બનીને બહાર આવ્યા.
વર્ષ 2013 ભારતના રાજકારણ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. દેશમાં તે સમયની કોંગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને નીતિગત અસ્થિરતાના મુદ્દે ભારે અસંતોષ હતો. બીજી તરફ ગુજરાતમાં સતત જીત અને “ગુજરાત મોડલ”ને કારણે મોદી રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બની રહ્યા હતા. જોકે ભાજપની અંદર જ મોદીને આગળ લાવવા મામલે એકમતતા નહોતી. કેટલાક વરિષ્ઠ નેતાઓ તેમના આક્રમક વ્યક્તિત્વને ગઠબંધન રાજકારણ માટે જોખમી માનતા હતા. કહેવાય છે કે તે સમયે રાજનાથ સિંહ, અરુણ જેટલી, અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમને મજબૂત ટેકો મળ્યો હતો.
સપ્ટેમ્બર 2013માં ભાજપે સત્તાવાર રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ આખું ચૂંટણી અભિયાન મોદી કેન્દ્રિત બની ગયું. 2002ના ગુજરાત રમખાણોના મુદ્દે વિરોધ પક્ષ સતત હુમલા કરતો રહ્યો, મીડિયાના એક વર્ગે પણ વિરોધ કર્યો, પરંતુ મોદીએ વિકાસ, મજબૂત નેતૃત્વ અને ભ્રષ્ટાચાર વિરોધને મુખ્ય મુદ્દા બનાવ્યા.
મીનીમમ ગોવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સનો નારો દેશભરમાં લોકપ્રિય બન્યો. સોશિયલ મીડિયા, 3D રેલી, ચા પર ચર્ચા અને હાઈટેક પ્રચાર દ્વારા મોદીએ ચૂંટણી અભિયાનને નવા યુગમાં લઈ ગયા. ખાસ કરીને યુવાનો, મધ્યમવર્ગ અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારો મોદી તરફ આકર્ષાયા.
16 મે 2014ના રોજ આવેલા પરિણામોએ દેશનું રાજકારણ જ બદલી નાખ્યું. ભાજપે પોતાના બળ પર 282 બેઠકો જીતી અને એનડીએએ સ્પષ્ટ બહુમતી મેળવી. 26 મે 2014ના રોજ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને દેશના રાજકારણમાં “મોદી યુગ”ની શરૂઆત થઈ. પ્રથમ ટર્મ દરમિયાન મોદી સરકારે અનેક મોટા અને ઐતિહાસિક નિર્ણયો લીધા. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય લઈને દેશભરમાં ખળભળાટ મચાવ્યો. કાળા નાણાં, નકલી ચલણી નોટો અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવામાં આવેલો આ નિર્ણય આજે પણ ચર્ચાનો વિષય છે.
ત્યારબાદ GST અમલમાં લાવી વન નેશન વન ટેક્સનો વિચાર આગળ ધપાવ્યો. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશભરમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડાયો અને કરોડો શૌચાલયોનું નિર્માણ થયું. જનધન યોજના દ્વારા કરોડો લોકો બેંકિંગ વ્યવસ્થાથી જોડાયા. ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ UPI અને BHIM જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિશ્વભરમાં ભારતની ઓળખ બની. પ્રથમ ટર્મ દરમિયાન જ પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને મોદી સરકારે દુનિયાને સંદેશ આપ્યો કે હવે ભારત આતંકવાદ સામે કડક વલણ અપનાવશે.
2019ની લોકસભા ચૂંટણી પહેલા પુલવામા હુમલો અને બાલાકોટ એરસ્ટ્રાઈક દેશના મુખ્ય મુદ્દા બન્યા. રાષ્ટ્રીય સુરક્ષા, કલ્યાણકારી યોજનાઓ અને મજબૂત નેતૃત્વના મુદ્દે ભાજપે ફરી મોટી જીત મેળવી. ભાજપે 303 બેઠકો જીતી અને મોદી સતત બીજીવાર પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બન્યા. 30 મે 2019થી શરૂ થયેલી બીજી ટર્મમાં મોદી સરકારે સૌથી મોટો નિર્ણય કલમ 370 હટાવવાનો લીધો. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરીને દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વસ્તરે ચર્ચા જગાવી.
તે બાદ નાગરિકતા સુધારા કાયદો (CAA) લાવવામાં આવ્યો. સમર્થન અને વિરોધ વચ્ચે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું. ત્યારબાદ આખી દુનિયા માટે પડકારરૂપ બનેલી કોરોના મહામારી આવી. લોકડાઉન, મફત રસીકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા મોદી સરકારે સંકટનો સામનો કર્યો.
કોવેક્સિન અને કોવિશિલ્ડ દ્વારા કરોડો લોકોને મફત રસી આપવામાં આવી. વોકલ ફોર લોકલ, અભિયાનથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું. આ સમયગાળા દરમિયાન રામ મંદિર નિર્માણ પ્રક્રિયા આગળ વધી અને નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી.
G20 સમિટ દરમિયાન ભારતની અધ્યક્ષતા વિશ્વભરમાં પ્રશંસિત રહી. બીજી તરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક્સપ્રેસવે, વંદે ભારત ટ્રેન, એરપોર્ટ અને ડિજિટલ નેટવર્કનો ઝડપી વિકાસ જોવા મળ્યો.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને થોડું નુકસાન થયું હોવા છતાં એનડીએએ બહુમતી મેળવી અને મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા. ભારતના ઇતિહાસમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન બનનાર તેઓ જવાહરલાલ નહેરુ પછીના બીજા નેતા બન્યા. 9 જૂન 2024ના રોજ મોદીએ ત્રીજી ટર્મ માટે શપથ લીધા. હાલમાં તેમની સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેક ઈન ઈન્ડિયા, રિન્યુએબલ એનર્જી, મેટ્રો પ્રોજેક્ટ અને ડિજિટલ ઈન્ડિયા પર વિશેષ ભાર મૂકી રહી છે.
વકફ સુધારા બિલ જેવા નિર્ણયો ફરી ચર્ચામાં રહ્યા છે. વિરોધ વચ્ચે પણ મોદી સરકાર પોતાના નિર્ણયોથી પાછળ હટતી દેખાતી નથી.
આવતીકાલે એટલે કે 26 મે 2026ના રોજ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે 12 વર્ષ અને કુલ 4383 દિવસ પૂર્ણ કરશે. દેશના રાજકારણમાં આ સમયગાળો “મોદી યુગ” તરીકે ઓળખાઈ રહ્યો છે. સમર્થકો માટે તેઓ વિકાસ અને મજબૂત નેતૃત્વનું પ્રતિક છે તો વિરોધીઓ માટે આક્રમક રાજકારણનું ચહેરું.
પરંતુ એક વાત નિર્વિવાદ છે કે છેલ્લા 12 વર્ષમાં ભારતીય રાજકારણ, ચૂંટણી પ્રચાર, ડિજિટલ વ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે ભારતની છબીમાં મોટો બદલાવ આવ્યો છે અને તેના કેન્દ્રમાં એક જ નામ રહ્યું છે, નરેન્દ્રભાઈ મોદી.
ચા વેચનારથી PM સુધી
નરેન્દ્રભાઈ મોદીની સૌથી મોટી ખાસિયત એ રહી કે તેઓ કોઈ રાજકીય પરિવારથી આવ્યા નહોતા. બાળપણમાં ચા વેચવાથી શરૂ થયેલી તેમની સફર આજે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાં સ્થાન સુધી પહોંચી છે. આ જ કારણ છે કે સામાન્ય માણસ આજે પણ પોતાની જાતને મોદી સાથે જોડાયેલો માને છે.
2014ની ઐતિહાસિક જીત
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 બેઠકો જીતી અને પૂર્ણ બહુમતી મેળવી. 30 વર્ષ પછી દેશમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. આ જીતે દેશના રાજકારણમાં કોંગ્રેસના દાયકાઓ જૂના પ્રભુત્વને મોટો ઝટકો આપ્યો હતો.
ચા પર ચર્ચા બની ગેમચેન્જર
2014ની ચૂંટણીમાં “ચા પર ચર્ચા” કાર્યક્રમ ભારે લોકપ્રિય બન્યો. મોદી સીધા સામાન્ય લોકો સાથે જોડાયા. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેમણે ચૂંટણી પ્રચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો.
નોટબંધીનો સૌથી મોટો નિર્ણય
8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય ભારતના ઈતિહાસમાં સૌથી ચર્ચિત નિર્ણયોમાંનો એક રહ્યો. સરકારે તેને કાળા નાણાં અને નકલી ચલણી નોટો સામેની લડાઈ ગણાવી હતી.
GSTથી વન નેશન, વન ટેક્સ
GST અમલીકરણથી સમગ્ર દેશમાં એક જ ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી. વેપારીઓ માટે શરૂઆતમાં મુશ્કેલી ઉભી થઈ હોવા છતાં સરકારે તેને આર્થિક સુધારાનો મોટો પગલું ગણાવ્યું.
સર્જિકલ સ્ટ્રાઈકથી દુનિયા ચોંકી
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. મોદી સરકારે વિશ્વને સંદેશ આપ્યો કે ભારત હવે આતંકવાદ સામે ચૂપ નહીં બેસે.
કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય
2019માં જમ્મુ-કાશ્મીર પરથી કલમ 370 દૂર કરીને મોદી સરકારે દાયકાઓ જૂનો મુદ્દો ઉકેલ્યો હોવાનો દાવો કર્યો. આ નિર્ણય દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો.
કોરોના કાળમાં મફત વેક્સિન
કોરોના મહામારી દરમિયાન ભારતે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાંથી એક ચલાવ્યું. કરોડો લોકોને મફત કોવેક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી.
ડિજિટલ ઈન્ડિયાની દુનિયામાં ધૂમ
UPI અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ભારત વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે. આજે નાના વેપારીઓથી લઈને મોટી કંપનીઓ સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સામાન્ય બની ગયું છે.
રામ મંદિરનું સ્વપ્ન સાકાર
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પ્રક્રિયાને આગળ ધપાવી મોદી સરકારે પોતાના સમર્થકોમાં વિશેષ લોકપ્રિયતા મેળવી. વર્ષો જૂનો મુદ્દો આખરે સાકાર થતો જોવા મળ્યો.
G20માં ભારતની ધાક
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ વિશ્વસ્તરે ચર્ચામાં રહી. વિશ્વના મોટા દેશોએ ભારતની આયોજન ક્ષમતા અને વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદભૂત વિકાસ
એક્સપ્રેસવે, મેટ્રો, એરપોર્ટ, વંદે ભારત ટ્રેન અને હાઈવે પ્રોજેક્ટ્સ દ્વારા મોદી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ઝડપી બનાવ્યો હોવાનો દાવો કર્યો છે.
સતત ત્રીજીવાર PM બન્યા
2024માં સતત ત્રીજીવાર વડાપ્રધાન બની મોદી જવાહરલાલ નહેરુ પછી આ સિદ્ધિ મેળવનાર બીજા નેતા બન્યા. આ સિદ્ધિને ભાજપ ઐતિહાસિક ગણાવે છે.
વિશ્વભરમાં વધી લોકપ્રિયતા
અમેરિકા થી લઈને મધ્યપૂર્વ અને યુરોપ સુધી મોદીનો પ્રભાવ જોવા મળ્યો છે. અનેક દેશોના વડાઓ સાથે તેમની મિત્રતા અને રાજદ્વારી ચર્ચામાં રહી છે.
12 વર્ષ પછી પણ મોદી મેજિક યથાવત
12 વર્ષ પૂર્ણ થયા છતાં મોદી આજે પણ ભાજપ માટે સૌથી મોટો ચહેરો છે. દેશની અનેક ચૂંટણીમાં મતદારો સ્થાનિક મુદ્દા કરતાં મોદી ફેક્ટરને વધારે મહત્વ આપતા જોવા મળ્યા છે.


