રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ
તાર ફેન્સીંગમાં રનીંગ મીટર દીઠ રૂ.૧૦૦નો વધારો, ૨ હેક્ટરની મર્યાદા ઘટાડી ૧ હેક્ટર કરતા નાના ખેડૂતોને મળશે લાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતની ભાજપા સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ₹200 અથવા ખર્ચના 50%, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે પ્રતિ રનિંગ મીટર ₹300 અથવા ખરેખર થનાર ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે બે હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે ₹240 કરોડની ફાળવણી કરી છે.
અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમજ જરૂર પડશે તો ₹240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માં, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.


