સાદગી અને નમ્રતાનું ઉન્નત શિખર શિખર : ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર
‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી હતી. એક દિવસ શ્રી બોરીસાગર સાહેબે ટ્રસ્ટી મંડળને વિનંતી કરી કે, “પ્રતિષ્ઠાનમાંથી મારું નામ કાઢી નાખો
‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’-સાવરકુંડલાનું નિર્માણ કરવામાં આવ્યું. અહીં સારવાર અર્થે આવનાર દર્દીઓને દવા, રિપોર્ટ્સ, ઑપરેશન વગેરે તમામ પ્રકારની સેવા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ આરોગ્ય મંદિર સૌને માટે આશીર્વાદરૂપ છે.
પ્રાથમિક શાળાના શિક્ષકથી કારકિર્દીની શરૂઆત કરનાર બોરીસાગરસાહેબે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક (શૈક્ષણિક – ક્લાસ વન અધિકારી) સુધીની સફળ યાત્રા કરી છે. સફળતાનાં શિખરો સર કર્યાં પછી પણ એમની નમ્રતા અને સાદગી અકબંધ છે.
ઉત્તમ સાહિત્યસર્જન બદલ એમને ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમી ઇનામ દ્વારા વગેરે અનેક સન્માન અને ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા છે.
એમના સાહિત્ય સર્જનને બિરદાવીને ભારત સરકારે આ વર્ષે એમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે, જે સમગ્ર ગુજરાતના સાહિત્ય જગત માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.
શિક્ષણ, આરોગ્ય, સામાજિક, ધાર્મિક વગેરે કાર્યોમાં દાન આપવું તે પ્રશંસનીય કાર્ય છે. દાન કરીને પોતાના અથવા માતાપિતાનાં નામની તકતી લગાડનાર સેંકડો દાનવીરો આપણે જોયા છે. લોકોપયોગી કાર્યો કરનાર સૌ દાનવીરોને ખૂબ ખૂબ અભિનંદન. પણ આગ્રહપૂર્વક વિનંતી કરીને પ્રતિષ્ઠાનમાંથી પોતાનું નામ દૂર કરાવનાર કોઈ વિરલ વિભૂતિનું નામ સાંભળ્યું છે ? આવું વિરલ કાર્ય કરનાર છે : વિદ્યાઋષિ પૂજ્ય શ્રી રતિલાલ મોહનલાલ બોરીસાગરસાહેબ.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુદક્ષિણા આપવાની પ્રાચીન પ્રણાલી છે, પણ બોરીસાગરસાહેબને એમના શિષ્યોએ આપેલી ગુરુદક્ષિણાની વાત તો સૌથી નિરાળી છે ! શ્રી બોરીસાગરસાહેબનો નિ:સ્વાર્થ પ્રેમ અને વાત્સલ્યભાવ પામનાર સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ નામે ટ્રસ્ટ બનાવ્યું. બોરીસાગરસાહેબના સન્માન માટે ત્રિદિવસીય અભિવાદન સમારોહનું સુંદર આયોજન કર્યું. આ પ્રસંગે શિક્ષણ અને સમાજના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. તા.05-01-2011ના રોજ પૂ. મોરારિબાપુના હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ રહી હતી. આમ, વિદ્યાર્થીઓએ આપેલ ગુરુદક્ષિણા અદ્ભુત અને અજોડ છે.
‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી હતી. એક દિવસ શ્રી બોરીસાગરસાહેબે ટ્રસ્ટી મંડળને વિનંતી કરી કે, “પ્રતિષ્ઠાનમાંથી મારું નામ કાઢી નાખો. (પોતાનું નામ કાઢવાનું કહેનાર વિરલ વ્યક્તિ ભાગ્યે જ મળે!) તમારા સૌના ઘડતરમાં સૌ ગુરુજનોનો ફાળો રહ્યો છે.” ગુરુજીના પ્રેમભર્યા આગ્રહને માન આપીને આજ્ઞાકારી વિદ્યાર્થીઓએ નવું ટ્રસ્ટ બનાવ્યું, જેનું નામ ‘શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન’ રાખ્યું. આ ટ્રસ્ટ દ્વારા ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’-સાવરકુંડલાનું નિર્માણ કરવામાં આવ્યું. અહીં સારવાર અર્થે આવનાર દર્દીઓને દવા, રિપોર્ટ્સ, ઑપરેશન વગેરે તમામ પ્રકારની સેવા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ આરોગ્ય મંદિર સૌને માટે આશીર્વાદરૂપ છે.
શ્રી રતિલાલ બોરીસાગરસાહેબનું જીવન સૌને માટે પ્રેરણારૂપ છે. સાવરકુંડલાની આંબલી શેરીમાં એમનું બાળપણ વીત્યું. શેરીના સૌ લોકો હળીમળીને રહેતા હતા. માતા સંતોકબહેન પાસેથી એમને ધર્મપરાયણતા તેમજ પિતા મોહનલાલ પાસેથી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાના પાઠો શીખવા મળ્યા.
પ્રાથમિક શાળાના શિક્ષકથી કારકિર્દીની શરૂઆત કરનાર બોરીસાગરસાહેબે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક (શૈક્ષણિક – ક્લાસ વન અધિકારી) સુધીની સફળ યાત્રા કરી છે. સફળતાનાં શિખરો સર કર્યાં પછી પણ એમની નમ્રતા અને સાદગી અકબંધ છે.
બોરીસાગરસાહેબમાં ભારોભાર કૃતજ્ઞતાભાવ જોવા મળે છે. તેઓ પોતાના પડોશી હીરુભાભુ, પોતાના શિક્ષક મુકુંદરાય પંડ્યા, પોતાના મોટાભાઈ વગેરે અનેક વ્યક્તિઓને માનભેર યાદ કરે છે. પોતાના સન્માન સમારોહમાં એમણે કહેલું : “મારા કરતાં અનેક શિક્ષકો ઉત્તમ છે. હું કેટલીક બાબતોમાં નબળો અધ્યાપક હતો.” (પોતાના વિશે આવું કહેનાર નિર્માની વ્યક્તિ મળવા મુશ્કેલ છે.)
વિદ્યાર્થીઓના પ્રતિભાવો દ્વારા આપણે બોરીસાગરસાહેબનાં કાર્યો વિશે આછેરી જાણકારી મેળવી શકીએ. સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી અરવિંદ બારોટ કહે છે : “આજે હું જે કંઈ છું, તે મારા ગુરુનું સર્જન છું. રતિલાલ બોરીસાગરનો હું માનસપુત્ર છું.”
જે.બી.વોરા સાહેબ (આઈ.એ.એસ.) કહે છે : “મને બોરીસાગરસાહેબ ન મળ્યા હોત તો હું આજે સુરતમાં હીરા ઘસતો હોત!”
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ઑફિસર શ્રી હર્ષદ ઉપાધ્યાયના પિતા તેમને શાળાંત પરીક્ષા અપાવીને શિક્ષકની નોકરી કરાવવાના હતા, પણ બોરીસાગરસાહેબના માર્ગદર્શનથી તેઓ આગળ ભણ્યા અને ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી.
અહીં ત્રણ વિદ્યાર્થીઓના પ્રતિભાવો ટૂંકમાં લખ્યા છે. આવા સેંકડો વિદ્યાર્થીઓ છે, જેમના જીવનઘડતરમાં બોરીસાગરસાહેબનું ખૂબ મોટું યોગદાન છે.
હજારો વિદ્યાર્થીઓનાં દિલમાં માનભર્યું સ્થાન મેળવનાર બોરીસાગરસાહેબ ઉત્તમ સાહિત્યકાર છે. એમણે અનેક પુસ્તકોનું લેખન –સંપાદન કર્યું છે. ‘મા એ મા’ (1999), ‘અનોખાં જીવનચિત્રો’, વિનોદ ભટ્ટના લેખોનું સંપાદન ‘નમું તે હાસ્ય બ્રહ્મને’ (2000), ‘અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ (2003), ‘હાસ્યતેત્રીશી’ (2002), ‘જ્યોતીન્દ્ર દવે – હાસ્યવૈભવ’ (2004), ‘પિતા-પપ્પા-ડેડી’ (2003) વગેરે તેમની સંપાદન – ક્ષમતા અને સ્વાધ્યાયના નમૂનારૂપ છે. તેઓ શ્રેષ્ઠ હાસ્યલેખક છે. તેઓ હૃદયરોગ જેવી ગંભીર બીમારીમાં પણ હાસ્યરસને પીરસી શક્યા છે, ‘એન્જોયગ્રાફી’ (1997) તેનું ઉત્તમ ઉદાહરણ છે. ‘મરક મરક’ (1997), ‘આનંદલોક’ (1983), ‘સંભવામિ યુગે યુગે’ (1994), ‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ (2001), ‘જ્ઞ થી ક સુધી’ (2005), ‘અમથું અમથું કેમ ન હસીએ?’ (2008), ૐ હાસ્યમ્ (2010) વગેરે તેમની હાસ્યકૃતિઓ ખૂબ લોકપ્રિય બની છે.
નિવૃત્ત થયા પછી એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના ‘માતૃભાષા કૌશલ અભ્યાસક્રમ’ના વર્ગમાં શિક્ષણકાર્ય શરૂ રાખ્યું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ‘માતૃભાષા સંવર્ધન’ માટે પખવાડિક વર્ગો ચલાવી રહ્યા છે. આમ, હાલમાં પણ તેઓ વિવિધ રીતે માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ સાચા અર્થમાં આજીવન શિક્ષક છે.
ઉત્તમ સાહિત્યસર્જન બદલ એમને ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઇનામ (પાંચ વખત), ‘ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક’, ‘ઘનશ્યામદાસ સરાફ સર્વોત્તમ સાહિત્ય ઍવૉર્ડ’, વગેરે અનેક સન્માન અને ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા છે.
એમના સાહિત્ય સર્જનને બિરદાવીને ભારત સરકારે વર્ષ-2026માં એમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે, જે સમગ્ર ગુજરાતના સાહિત્ય જગત માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા મને આપવામાં આવેલ ‘સાહિત્યસાધના પારિતોષિક’ આદરણીય શ્રી બોરીસાગરસાહેબના વરદ હસ્તે પ્રાપ્ત થયું હતું, જે મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.
શ્રી બોરીસાગર સાહેબને સાંભળવા એ જીવનનો એક લહાવો છે. એમના પ્રેરક વક્તવ્યો તેમજ શ્રી ભદ્રાયુ વછરાજાનીએ એમની સાથે કરેલા સંવાદના વીડિયો યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે, તે પણ ખૂબ રસપ્રદ છે. શ્રી બોરીસાગરસાહેબનો યથાર્થ પરિચય એક લેખમાં લખવો અશક્ય છે. એમનાં અજોડ કાર્યો વિશે જાણવા ઇચ્છતા વાચકોએ : ‘અમારા બોરીસાગરસાહેબ’ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
હળાહળ કળિયુગમાં વાલ્મીકિ, વશિષ્ઠ અને સાંદીપનિ જેવું માન – સન્માન મેળવનાર શ્રી રતિલાલ બોરીસાગરસાહેબને મો.નં. 9925111301 પર સંદેશ પાઠવી શકો છો.
શબ્દસિંધુ
શ્રી બોરીસાગરસાહેબને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ, અધ્યયનશીલતા અને નિષ્પક્ષતા જેવા ગુણો જન્મજાત પ્રાપ્ત થયા છે.


