દેશમાં શહેરીકરણનો નવો યુગ
ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
65 વર્ષ પછી બદલાશે દેશના શહેરીકરણના નિયમો : હજારો ગામોનું બદલાઈ શકે છે ભવિષ્ય
ખેતી કરતાં બિન-ખેતી રોજગાર, આધુનિક સુવિધા અને ડિજિટલ કનેક્ટિવિટી બનશે નવા માપદંડ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં આગામી વર્ષોમાં હજારો ગામડાંઓની ઓળખ બદલાઈ શકે છે. જો કોઈ ગામમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે, ખેતી કરતાં બિન-ખેતી રોજગારનું પ્રમાણ વધુ હશે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત હશે, તો તે વિસ્તારને શહેર જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર 65 વર્ષ બાદ પ્રથમ વખત શહેરી અને ગ્રામીણ વિસ્તારો નક્કી કરવાના માપદંડોમાં મોટા ફેરફારો કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
વર્ષ 1961થી અમલમાં રહેલા માપદંડો હવે સમયાનુકૂળ નથી રહ્યા તેવું સરકારનું માનવું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશની અર્થવ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, ડિજિટલ નેટવર્ક અને વસાહતોનું સ્વરૂપ ઝડપથી બદલાયું છે. અનેક ગામડાંઓ આજે શહેરો જેવી સુવિધાઓ ધરાવે છે, પરંતુ વહીવટી રીતે હજુ પણ ગ્રામ્ય વિસ્તાર તરીકે જ નોંધાયેલા છે.
કેન્દ્ર સરકારના આ પ્રયાસ પાછળ વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત”નું લક્ષ્ય મુખ્ય પ્રેરણાબળ માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે વાસ્તવિક શહેરીકરણને ધ્યાનમાં રાખીને જ વિકાસની યોજનાઓ, નાણાંકીય ફાળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરવું જરૂરી બની ગયું છે.
તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા BRICS દેશોના અર્બન પ્લાનર્સ ફોરમમાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે હાલના ભારતીય માપદંડો મુજબ દેશની શહેરી વસ્તી માત્ર 36 ટકા જેટલી ગણાય છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની “ડિગ્રી ઓફ અર્બનાઇઝેશન” પદ્ધતિ મુજબ ભારતની લગભગ 80 ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે શહેરી વિસ્તારો સાથે જોડાયેલી છે.
આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વહીવટી સીમાઓ કરતાં વસ્તીની ગીચતા, સેટેલાઇટ દ્વારા દેખાતા પાકા બાંધકામો અને શહેરી પ્રવૃત્તિઓને વધુ મહત્વ આપવામાં આવે છે. સરકાર પણ હવે આ જ પ્રકારના વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધી રહી છે. હાલમાં કોઈ વિસ્તારને શહેર જાહેર કરવા માટે 5,000થી વધુ વસ્તી, પ્રતિ ચોરસ કિલોમીટરે 400 વ્યક્તિની ગીચતા અને પુરુષ કાર્યબળના 75 ટકા લોકો બિન-ખેતી વ્યવસાયમાં સંકળાયેલા હોવા જેવા માપદંડો લાગુ પડે છે. પરંતુ નવા પ્રસ્તાવિત માપદંડોમાં વસ્તીની વાસ્તવિક ગીચતા, બિલ્ટ-અપ વિસ્તારનું પ્રમાણ, રોજિંદી અવરજવર, ડિજિટલ કનેક્ટિવિટી, ગટર અને કચરા નિકાલ જેવી સુવિધાઓને પણ મહત્વ આપવામાં આવશે. નવા નિયમો અમલમાં આવશે તો અનેક ગામડાંઓને શહેરી વિકાસ યોજનાઓ, વિશેષ ગ્રાન્ટ, માસ્ટર પ્લાન અને આધુનિક સુવિધાઓનો સીધો લાભ મળશે. જોકે બીજી તરફ વધતા શહેરીકરણ સાથે પ્રદૂષણ, કચરાની સમસ્યા અને ગુનાખોરી જેવા પડકારો પણ ઊભા થઈ શકે છે.
2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 6.40 લાખથી વધુ ગામડાંઓમાં 68.9 ટકા વસ્તી વસે છે, જ્યારે 7,935 શહેરોમાં 31.1 ટકા લોકો રહે છે. પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો અને વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખતા ભારત હવે દાયકાઓ જૂના માપદંડોને અલવિદા કહેવાની તૈયારીમાં છે.
શું બદલાશે?
* 1961 પછી પ્રથમ વખત શહેરી-ગ્રામીણ માપદંડોમાં ફેરફાર
* ગામની ઓળખ માત્ર વસ્તીથી નહીં, સુવિધાઓથી નક્કી થશે
* ડિજિટલ અને આર્થિક વિકાસને મહત્વ મળશે
હાલના નિયમો શું કહે છે?
* વસ્તી 5,000થી વધુ
* પ્રતિ ચો.કિમી 400થી વધુ લોકો
* 75% પુરુષ કાર્યબળ બિન-ખેતી ક્ષેત્રમાં
આ ત્રણ શરતો પૂરી થાય તો વિસ્તાર ‘સેન્સસ ટાઉન’ ગણાય છે.
નવા સંભવિત માપદંડો
* વસ્તીની ગીચતા
* બિલ્ટ-અપ વિસ્તાર
* બિન-ખેતી રોજગાર
* ડિજિટલ કનેક્ટિવિટી
* સીવરેજ અને કચરા વ્યવસ્થાપન
* દૈનિક અવરજવરનું પ્રમાણ
UN શું કહે છે?
* ભારતની સત્તાવાર શહેરી વસ્તી : 36%
* UN પદ્ધતિ મુજબ શહેરી અસર હેઠળની વસ્તી : લગભગ 80%
* સેટેલાઇટ અને વસ્તી ગીચતા આધારે ગણતરી
શહેર જાહેર થવાથી શું ફાયદો?
* વિશેષ સરકારી ગ્રાન્ટ
* માસ્ટર પ્લાનિંગ
* રોડ, પાણી અને ડ્રેનેજમાં સુધારો
* રોકાણ અને રોજગારીની તકોમાં વધારો
જોખમો પણ ઓછા નથી
* પ્રદૂષણમાં વધારો
* કચરા વ્યવસ્થાપનની સમસ્યા
* ટ્રાફિક દબાણ
* ગુનાખોરી વધવાનો ભય
ભારતની હાલની સ્થિતિ
* કુલ ગામડાં : 6,40,930
* કુલ શહેરો : 7,935
* ગ્રામ્ય વસ્તી : 68.9%
* શહેરી વસ્તી : 31.1% (2011ની વસ્તી ગણતરી મુજબ)
2047ના વિકસિત ભારતનું વિઝન
કેન્દ્ર સરકારનો પ્રયાસ એ છે કે દેશના વાસ્તવિક શહેરીકરણને ઓળખીને સંસાધનોની યોગ્ય ફાળવણી થાય. શહેરોની આસપાસના અર્ધ-શહેરી વિસ્તારો માટે અલગ નીતિ બનાવી વિકાસની ગતિ તેજ કરવામાં આવશે.


