રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી
પોલીસ સ્ટેશને લઈ જઈ માર ખવડાવીશું, કહી દબાણ કરાયું, ઓળખપત્ર માંગતા બે શખ્સો ફરાર
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતાજનક પ્રશ્નો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. રૈયાધાર વિસ્તારમાં બે શખ્સોએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી ચાર યુવકોને ડરાવી-ધમકાવી રૂ.50 હજારની માંગણી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જોકે યુવકોએ સાવચેતી દાખવી તેમની ઓળખ અંગે સવાલો ઉઠાવતાં બંને શખ્સો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
મળતી વિગતો મુજબ રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં રહેતા કીરીટભાઈ મનસુખભાઈ પીઠડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બેઠા હતા. તે દરમિયાન બ્લુ કલરની ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. જેમાંથી એકે પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેરેલું હોવાથી શરૂઆતમાં તેઓ ખરેખર પોલીસકર્મી હોવાનું લાગ્યું હતું. ફરિયાદ મુજબ બંનેએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા અને ખુલ્લા મેદાનમાં બેસવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ પોલીસ કાર્યવાહી તથા મારપીટની ધમકી આપી મામલો દબાવવા માટે રૂ.50 હજારની માંગણી કરી હોવાનું જણાવાયું છે.
ઘટનાથી ગભરાયેલા યુવકે પોતાના અન્ય મિત્રોને સ્થળ પર બોલાવ્યા હતા. દરમિયાન મિત્રોને બંને શખ્સોની બોલચાલ અને વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે તેમની ઓળખ અને ફરજ અંગે પૂછપરછ શરૂ કરી હતી. યુવકોએ પોલીસ હોવાના પુરાવા તરીકે ઓળખપત્ર રજૂ કરવા જણાવ્યું હતું. ઉપરાંત માલવીયા પોલીસ સ્ટેશનના હોવા છતાં તે વિસ્તારમાં તેમની હાજરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
આકરા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન આપી શકતા બંને શખ્સોએ પોતાનાં નામ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા હોવાનું જણાવ્યું હતું. જોકે ઓળખ સાબિત કરવામાં નિષ્ફળ જતા તેઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસના નામે લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? પોલીસનો લોગો ધરાવતું જેકેટ તેમની પાસે ક્યાંથી આવ્યું? તેમજ રાત્રિના સમયે જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ વ્યવસ્થા કેટલી અસરકારક છે તેવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ઓળખ, તેમની વાસ્તવિક ભૂમિકા અને પોલીસનું નામ વાપરી ખંડણી માંગવાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે હવે તપાસ બાદ સ્પષ્ટ થશે.


