હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો
રાજકોટ રેલવે ડિવિઝનના મુખ્ય ટિકિટ નિરીક્ષકની પ્રમાણિકતા : નિષ્ઠાને બિરાદાવતા અધિકારીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સેવા ભાવના અને મુસાફરો પ્રત્યેની જવાબદારીનું એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસમાં ફરજ પર કાર્યરત રાજકોટ ડિવિઝનના મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI) સી. પી. ચાપાણીએ પોતાની પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપીને આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન તેના અસલી માલિકને સુરક્ષિત રીતે પરત સોંપીને રેલવે પરિવારનું ગૌરવ વધાર્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સી. પી. ચાપાણીને રાત્રે આશરે 1 વાગ્યે B-2 કોચના પેસેજ (ગલિયારા)માંથી અંદાજે એક તોલા વજનની સોનાની ચેઈન મળી આવી હતી. ચેઈન મળ્યા બાદ ચાપાણીએ તાત્કાલિક આ અંગેની જાણ રાજકોટ કંટ્રોલ ઓફિસમાં આવેલા કોમર્શિયલ કંટ્રોલને કરી હતી અને નિયત પ્રક્રિયા મુજબ કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની પૂછપરછ કરી હતી, પરંતુ તે સમયે તેના અસલી માલિકની ખબર પડી શકી નહોતી.
સવારે B-2 કોચની સીટ નંબર 59 પર બાંદ્રા ટર્મિનસથી જામનગર સુધીની મુસાફરી કરી રહેલા સિનિયર સિટિઝન મનસુખભાઈ (ઉંમર 61 વર્ષ)ને સહ-મુસાફરો પાસેથી માહિતી મળી કે ટિકિટ નિરીક્ષકને એક સોનાની ચેઈન મળી છે. આ સાંભળીને તેમણે તરત જ ચાપાણીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે મુસાફરી દરમિયાન તેમની સોનાની ચેઈન ક્યાંક પડી ગઈ હતી. જરૂરી પુરાવા અને ઓળખની ખાતરી કર્યા બાદ, સવારે આશરે 8 વાગ્યે મુખ્ય ટિકિટ નિરીક્ષક સી. પી. ચાપાણી દ્વારા મુસાફર મનસુખભાઈને તેમની આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી હતી.
પોતાની કિંમતી સોનાની ચેઈન સહી-સલામત પાછી મળવા પર મુસાફર મનસુખભાઈએ મુખ્ય ટિકિટ નિરીક્ષક સી. પી. ચાપાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની પ્રામાણિકતા, સતર્કતા તેમજ કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી.
આ પ્રશંસનીય કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ સી. પી. ચાપાણીની પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ જનસેવાના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવા સમર્પિત અને પ્રામાણિક કર્મચારીઓ પશ્ચિમ રેલવેની સકારાત્મક છબીને મજબૂત કરવાની સાથે-સાથે મુસાફરોના વિશ્વાસને પણ સતત વધુ દ્રઢ બનાવે છે.


