વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ
સમયસર દંડ નહી ભરનાર માલિકનું વાહન પોર્ટલ પર બ્લોક થશે : રજુઆત કરવા ૪૫ દિવસનો સમય આપશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો માટે હવે વધુ કડક નિયમો અમલમાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ઈ-ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત વાહનચાલકો સમયસર દંડ નહીં ભરો તો ‘વાહન પોર્ટલ’ પર વાહન બ્લોક થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે.
જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે.
ચલણ ઈશ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી 30 દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે.
જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ‘વાહન પોર્ટલ’ પર સંબંધિત વાહનને “Not to be transacted” એટલે કે, બ્લોક કરી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.
દંડની 50% રકમ ડિપોઝિટ કરાવી કોર્ટમાં અપીલ કરી શકાશે
જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને “વાહન પોર્ટલ” પર “Not to be transacted” તરીકે બ્લોક કરવામાં આવશે.


