બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન નિધન; 11 મહિનાની બાળકી માતૃછત્ર ગુમાવતા પરિવાર શોકમગ્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
પોરબંદર જિલ્લાના બોખીરા ગામમાં એસિડ પી જવાના બનાવમાં એક પરિણીતાનું સારવાર દરમિયાન મોત થતાં ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી 32 વર્ષીય હીરાબેન અજયભાઈ કવાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી 11 મહિનાની દીકરી માતાના સ્નેહથી વંચિત બની જતાં પરિવારમાં કરુણ માહોલ સર્જાયો છે. મૃતકના માવતર પક્ષે આ ઘટનાને લઈને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો છે કે લગ્નજીવન દરમિયાન હીરાબેનને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ મારપીટની ઘટનાઓ પણ બનતી હતી. તેમના જણાવ્યા મુજબ, પરિવારને શંકા છે કે હીરાબેનને એસિડ પીવડાવવામાં આવ્યું હોઈ શકે છે.
મળતી વિગતો મુજબ, હીરાબેનના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલાં બોખીરા ગામના અજય કવા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરિયામાં રહેતા હતા. માવતર પક્ષના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમની યોગ્ય કાળજી લેવામાં આવતી નહોતી. બાદમાં તેઓ માવતર ખાતે રહ્યા હતા અને ત્યાં દીકરીને જન્મ આપ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકીના જન્મ બાદ પણ સાસરિયા તરફથી ખાસ લાગણીસભર વર્તન જોવા મળ્યું નહોતું. ત્યારબાદ વડીલોના મધ્યસ્થી પ્રયાસોથી સમાધાન થતાં હીરાબેન લગભગ ચાર મહિના અગાઉ ફરી સાસરિયામાં રહેવા ગયા હતા. જોકે, સમાધાન દરમિયાન માવતર સાથે નિયમિત સંપર્ક અને મુલાકાતની શરતો નક્કી કરવામાં આવી હોવા છતાં તે મુજબ વ્યવહાર ન થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાના દિવસે હીરાબેને એસિડ પી લીધાની માહિતી સામે આવ્યા બાદ પ્રથમ પોરબંદરમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. એસિડ પીવાની પાછળનું સાચું કારણ શું છે અને માવતર પક્ષે કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.


