પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
રાજકોટ જિલ્લાની ૨3પ જેટલી શાળામાં સ્માર્ટ બોર્ડમાં કરાવાતો અભ્યાસ : હજુ ૧૦ દિવસ સુધી પરિસ્થિતિ રહેવાની સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લાની 235 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન બાદનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાને 10 દિવસ વીતી ગયા બાદ પણ હાલ ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો આવ્યા જ નથી જેને કારણે શિક્ષકો વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડમાં QR કોડ સ્કેન કરી પાઠ્યપુસ્તકો ઓપન કરી ભણાવવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત જુના વિદ્યાર્થીઓના પુસ્તકોથી નવા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની સમસ્યા પુરા ગુજરાત રાજ્યમાં હોવાનું સામે આવ્યું છે. પાઠ્યપુસ્તકો મોડા આવવાનું કારણ યુદ્ધની પરિસ્થિતિને કારણે કાગળની અછત સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. હજુ 10 દિવસથી વધુ દિવસો વીતી ગયા બાદ પાઠ્યપુસ્તકો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે.
એક તરફ વિદ્યાર્થીઓ મોબાઇલ તરફ ન વળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ મોબાઈલ ફોનથી જ ફરી અભ્યાસ કરવો પડી રહ્યો છે તે અંગે ડીઇઓએ જણાવ્યું હતું કે, હાલ અમે જુના વિદ્યાર્થીઓના જે પુસ્તકો હતા તે નવા વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી દીધી છે તેઓ વિદ્યાર્થીઓના ઓછા ઘસાયેલા પુસ્તકો અમે વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓને આંખોની દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે તેવા વિદ્યાર્થીઓને અમે પુસ્તકો આપી રહ્યા છીએ. જોકે આ વ્યવહારિક ઉપાય છે પરંતુ જ્યારે નવા પુસ્તકો આવશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાંથી જ ભણાવવામાં આવશે.
એક તરફ સરકાર ‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક’ જેવા ભવ્ય અને કરોડોના ખર્ચે કાર્યક્રમો કરીને શિક્ષણમાં અમૂલ પરિવર્તનના મોટા-મોટા દાવાઓ કરે છે, અને બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ગરીબ બાળકો પાસે ભણવા માટે પુસ્તકો પણ નથી. રાજ્યમાં શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ હોવા છતાં, 16 જૂન સુધી પુસ્તકો ન પહોંચવા તે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલો મોટો અન્યાય છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે કોઈ પણ જાતના વિલંબ વિના યુદ્ધના ધોરણે પાઠ્યપુસ્તકોનું વિતરણ તાત્કાલિક પૂરું કરવું જોઈએ. આ સાથે જ હેમાંગ રાવલે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસ આ શિક્ષણ વિભાગની પોલ ખોલતા વધુ દસ્તાવેજો અને પુરાવાઓ જનતા સમક્ષ જાહેર કરશે.
૧૦ દિવસમાં પુસ્તક આવી જશે : ડીડીઓ
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, હાલ માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો રાજ્ય કક્ષાએથી આવ્યા નથી હાલમાં યુધ્ધની પરિસ્થિતિના કારણે કાગળની અછત ઊભી થઈ હતી. કાગળો આવતા મોડું થતા છાપકામમાં થોડું મોડું થયું હતું. જોકે આગામી દસ દિવસમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો હાથવગા થઈ જશે. જેના વિકલ્પ સ્વરૂપે દરેક શાળાઓમાં સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલા છે. જેમાં QR કોડના માધ્યમથી પુસ્તકો આખા ઓપન થાય છે. તેની પીડીએફની મદદથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યોમાં આ કોઈ મુશ્કેલી પડતી નથી. આ QR કોડની મદદથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પણ પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. આ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ થઈ શકે છે. જેથી એડવાન્સ ટેક્નોલોજી વાળા સ્માર્ટફોન ની જરૂર રહેતી નથી સાદા મોબાઈલમાં પણ આ પીડીએફ ઓપન થઈ શકે છે.
ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત
કોંગ્રેસ હેમાંગ રાવલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પુસ્તકો ન મળવાને કારણે ખાસ કરીને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ સંપૂર્ણપણે અટકી પડ્યો છે. પુસ્તકો વિના શિક્ષકોને પણ નવો અભ્યાસક્રમ ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


