હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
માળા વેંચીને કોઈ માલામાલ ન થઈ શકે!
પ્રેમથી થયેલો સત્સંગ સ્વર્ગથી પણ મહાન છે
સત્ય સાધુ, પ્રેમ સાધુ, કરૂણા સાધુ
કોચી (કેરળ)ના વાયુ મ્ંડળમાં પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ મૃત્યુલોક’ ગઈકાલે-બુધવારે-પાંચમા દિવસના શુભ મંગલ પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ જણાવ્યું કે ગઈકાલે સાંજે પ્રેમસભામાં ખૂબ આનંદ આવ્યો. સૌ કલાકારો-સર્જકોએ પોતાની કલા પ્રસ્તુત કરી એની પ્રસન્નતા છે. કથાના પ્રારંભે ડો.ભદ્રાયુ વચ્છરાજાની અને ડો.નિતીન વડગામા સંકલિત રામકથાની પુસ્તિકા વ્યાસપીઠને બ્રહ્માર્પણ થઈ હતી. ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ ઓશોના જીવન વિશે જન્મભૂમિ જૂથના અખબારોમાં જે કોલમ લખેલી એ ‘ઓશોની આરપાર’ પુસ્તકરૂપે પ્રગટ થઈ છે અને વ્યાસપીઠ પ્રિય બાપુના શુભહસ્તે બ્રહ્માર્પિત થઈ હતી. બાપુની રામકથાઓનું સંકલન કરતા ડો.નીતિન વડગામાએ પેરિસની ભૂમિ પર અગાઉ યોજાયેલી ‘માનસરૂદ્રાભિષેક’ રામકથાના સાર દોહનની પુસ્તિકા ‘રામકથા’ પણ વ્યાસપીઠને અર્પણ થઈ હતી.
પ્રસન્નતા અને પ્રશાંત ચિત્તથી કથા સંવાદ સાંભળો, પ્રત્યેક પળને સજાવો, મૃત્યુલોક જીવવા જેવો છે. કઠોપનિષદનો એક શ્લોક છે, જે તમે પણ સૌ પ્રેમથી બોલજો:
સ્વર્ગેલોકે ન ભયમ કિંચનાસ્તી ન તત્ર
ત્વમ ન જરયાત્રિભેટી ઉભે તીર્વાસનાયા
કૃપાસે શોકતી લોક મોદતે.
આ શ્લોકમાં સ્વર્ગનું વર્ણન, ઉપનિષદકારે બતાવ્યું છે કહે છે કે સ્વર્ગ લોકમાં ભય નથી, ત્યાં બુઢાપો-ઘડપણ નથી, ત્યાં ભૂખ-તરસ અને શોક નથી. જો સ્વર્ગલોકમાં ભય નથી તો ઈન્દ્ર કેમ કાયમ ભયભીત છે? ચિત્રકૂટમાં ભરતજી રામજીને મળવા જાય છે ત્યારે સ્વર્ગલોકના દેવતાઓ બન્ને ભાઈઓનું મિલન અટકાવવા કૈંક કાવાદાવા-કપટ રચે છે, અરે! ત્યાં સુધી તુલસીદાસજી નોંધે છે કે ચિત્રકૂટમાં તંત્ર પ્રયોગ પણ રચેલા! જ્યારે જ્યારે મૃત્યુલોકમાં કોઈ યજ્ઞ કે શુભકર્મો થતા હોય ત્યારે દેવતાઓ-ઈન્દ્ર વગેરે ભયભીત રહે છે! હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ છે.. આ શ્લોકમાં સ્વર્ગલોકનું વર્ણન છે એના વિશે કૈલાશ પીઠાધીશ પૂ.વિષ્ણુદેવાનંદગિરીજી મહારાજે (મારા દાદા) ખૂબ સુંદર ટિપ્પણી લખી છે એ આપને કહું… સત્સંગથી અધિક કોઈ સ્વર્ગ નથી. સંપર્ક સિમિત છે, સંસર્ગ દિર્ઘજીવી છે પણ સ્વસંસર્ગ અતી મહત્વનો છે. સત્સંગ મૃત્યુલોકમાં જ છે. પ્રેમથી થયેલો સત્સંગ સ્વર્ગથી સ્વર્ગ કરતા પણ મહાન છે. સત્સંગમાં જે સુખ છે તે સ્વર્ગમાં પણ નથી! મૃત્યુલોકમાં સત્સંગ-સ્વસંસર્ગ એ સ્વર્ગ છે.
ટ્રેઈનમાં એક ભાઈ મુસાફીર કરતા હતા તો જ્યાં ઉતરવાનું હતું ત્યાં કોઈ એમને લેવા આવેલા. આ ભાઈ ઉતર્યા તો પરસેવે રેબઝેબ ને, ખૂબ થાકેલા, આંખો સુઝી ગયેલી એવી સ્થીતિમાં હતા તો લેવા આવનાર ભાઈએ પૂછ્યું કે ટ્રેઈનમાં આરામથી આવ્યા તોય કેમ આટલા ત્રસ્ત ને થાકેલા લાગો છો, તબિયત તો સારી છે ને! ત્યારે તૈલા ભાઈએ કીધું કે મને ટ્રેઈનમાં ઉંધી સીટ મળેલી એટલે કે ટ્રેઈન જે દિશામાં જતી હોય એ દિશામાં મારી સીટ ન્હોતી અને મને હંમેશા આવી રીતે ઉંઘી સીટ મળી હોય એમાં ફાવતું નથી એટલે મારી હાલત આવી થઈ છે. તો લેવા આવનાર ભાઈએ કીધું કે-તો સામેની સીટ પર જે મુસાફર બેઠો હોય એને તમારે વિનંતી કરાયને કે ભાઈ, મારી ઉંમર થઈ અને મને આવી તકલીફ છે તો પ્લીઝ, તમારી સીટ પર હું આવી જાવ અને તમે મારી સીટ પર આવી જાઓ. ત્યારે આ બોલ્યો કે-એ સીટ ખાલી હતી! કોને પૂછવું? કોઈ બેઠુંહોય તો પૂંછુને? બાપ, આવી સ્થિતી છે, આપણી, સમાજની, લોકોની!
એક પ્રશ્ન પૂછાયો છે કે, બાપુ સાધુ વિશે ખૂબ લખાય છે, બોલાય છે, તો સાધુની વ્યાખ્યા શું? જવાબ, હું ઘણી વખત કહ્યા જ કરું છું કે આપણે સાચા સાધુના પડછાયાને જ પકડી શકીએ છીએ- બાકી સાધુ એટલે સાધુને હવે કહું કે ‘સત્ય સાધુ, પ્રેમ સાધુ,, કરૂણા સાધુ’
કથા રત્નો
૧) રામનો જન્મ થાય, રામ પ્રગટે છે, રામ દ્રશ્ય થાય અને અદ્રશ્ય પણ થાય
૨) જેનો કોઈ ક્લાસ ન હોય એ કૈલાસની વાતો કરે છે!
3) ‘દોહાવલી રામાયણ’માં તુલસીદાસજી મૃત્યુના પ્રકાર કહે છે: મનોહર મૃત્યુ, ઈચ્છા મૃત્યુ, શ્રેષ્ઠ મૃત્યુ, મહામૃત્યુ વગેરે.
૪) દ્વેષ આવે ત્યારે પૈલો દેશ (હરિનો દેશ) છૂટી જાય છે!
૫) તુમ્હારે હૈ તુમસે દયા માંગતે હૈ, તેરે લાડલો કી દુઆ માંગતે હૈ
ભારત દેશના ભાલે રામકથારૂપી સ્વસ્તિક
પ્રિય બાપુએ આવનારા દિવસોમાં બે રામકથાઓ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, કાલડી (જગદગુરૂ શંકરાચાર્યજીનું જન્મસ્થાન)થી કેદારનાથ રામકથા કરવા જઈ રહ્યા છીએ. આસો નવરાત્રિમાં આ કથાયાત્રાનું ગાન થશે તમે સૌ ટીવીમાં જોજો અને બીજી કથા દ્વારકાથી જગન્નાથની થશે. આપ સૌ આશિર્વાદ આપજો. આ રામકથા દ્વારા ભારત દેશના ભાલે એક સ્વસ્તિક (સાથિઓ) રચવો છે.


