ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા દ્વારા અનોખું અભિયાન
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના હોદેદારો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
એક છત નીચે મળશે યોગ અને એરિયલ સ્ટૂડિયો, થેરાપી સ્ટૂડિયો, એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો, સાઉન્ડ હિલીંગ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બાળકો માટે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામની સુવિધા
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ ભવન ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી – વેરાવળ દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ડિપ્લોમા ઈન યોગ’નો અભ્યાસક્રમનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ’ દ્વારા આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે રાજકોટ ખાતે એક નૂતન ‘સેન્ટર ફોર યોગા એક્સલન્સ’ (યોગા સ્ટુડિયો)નું ઉદઘાટન કરવામાં આવનાર છે. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિના ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ રહેલા આ કેન્દ્રનો શુભારંભ તા. 21-06-2026, રવિવારના રોજ સવારે 9-30 કલાકે શ્રી સરદાર પટેલ ભવન, ન્યૂ માયાણીનગર, રાજકોટ ખાતે કરવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ ઉદઘાટક તરીકે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિજી વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે. આ સંસ્થામાં હવેથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી – વેરાવળ દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ડિપ્લોમા ઈન યોગ’ નો અભ્યાસક્રમ પણ થઈ શકશે.
સેન્ટરમાં મળનાર સુવિધાઓ
થેરાપી સ્ટૂડિયોઃ અહીં રોગ આધારિત વિશેષ યોગ સત્રો ચલાવવામાં આવે છે. જેમાં વજન ઘટાડવા માટેનો સ્પેશિયલ વેટ લોસ પ્રોગ્રામ, ડાયાબિટીસ, પાચનની સમસ્યાઓ (ગટ હેલ્થ), હાઈ બ્લડપ્રેશર, હૃદયની તકલીફો, ડિપ્રેશન, એન્ઝાયટી, સાંધાના દુઃખાવા અને થાઈરોઈડ જેવી બિમારીઓ માટે ખાસ યોગ કરાવવામાં આવશે. શરીરની આંતરિક શુદ્ધિ માટે શુદ્ધિ ક્રિયાઓ જેમ કે ત્રાટક, નેતિ (જલ, કેથેટર), ધૌતી, વમન અને નૌલી ક્રિયાઓ કરાવવામાં આવશે. આ ઉપરાંત સાઉન્ડ મેડિટેશન, રાગ થેરાપી, સાયક્લિક-એડવાન્સ મેડિટેશન, MSRT અને યોગ નિદ્રા જેવી સેવાઓ સામેલ છે. ગર્ભવતી બહેનો માટે પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી બાદના ખાસ યોગા સત્રો પણ ઉપલબ્ધ છે.
યોગ / એરિયલ સ્ટૂડિયોઃ સામાન્ય ફિટનેસ માટેના રેગ્યુલર યોગ વર્ગો ઉપરાંત પ્રોપ્સ સાથે એરિયલ યોગ અને બંજી જમ્પિંગની આધુનિક સુવિધા અહીં ઉપલબ્ધ છે. બાળકોના સર્વાંગી વિકાસ અને જિલ્લાથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓની તૈયારી માટે ખાસ યોગ વર્ગો તેમજ 3 થી 8 વર્ષના બાળકો માટે ‘ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ’ પણ ચલાવવામાં આવે છે.
એરોબિક્સ / કથક / સેમી-ક્લાસિકલ સ્ટૂડિયો: ફિટનેસ પ્રેમીઓ માટે બોલ, સ્ટીક, સ્ટેપર, બેલ્ટ, વોલ વર્કઆઉટ અને બોલીવુડ મ્યુઝિક સાથે એરોબિક્સ અને ઝુમ્બાના વર્ગો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય કથક (એકેડેમિક) અને સેમી-ક્લાસિકલ નૃત્યના વર્ગો પણ શરૂ થશે.
અન્ય કન્સલ્ટિંગ સેવાઓ: હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અહીં ડાયેટિશિયન ગાઈડન્સ અને આયુર્વેદ કન્સલ્ટિંગની સુવિધા પણ આપવામાં આવશે.
આ સેન્ટર ખાતે દરેક પ્રવૃત્તિઓ માટે ક્વોલિફાઇડ અને સર્ટિફાઇડ નિષ્ણાતોની વિશાળ ટીમ કાર્યરત રહેશે. જેમાં દીપક પટેલ, અંકિત ગમઢા, ડૉ. પૂજા માકડિયા (સુતરીયા), ડૉ. ધ્રુપલ ધામી (સગપરીયા), નિરાલી દવે, કિન્નરી ચુડાસમા, સ્મિતા રાજદેવ, જીતેન મણિયાર, શ્રુતિ અસલાલીયા, આર્યદિપસિંહ જાડેજા, સંગીતા નસીત, મિતાલી મુંડીયા, બંસી સવજાની, ચાર્મી ચોટાઈ, સારંગી સોની (કનેરિયા), અંકિતા પટેલ અને નીપા ચતવાણી જેવા અનુભવી અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા કોચનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે આ આધુનિક યોગ સ્ટૂડિયોમાં જોડાવા અને વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર: 7069929295, 9723776900 પર સંપર્ક કરવા જણાવાયું છે.
21 જૂને યોજાનાર આ કાર્યક્રમ પૂર્વે સવારે 9 કલાકે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સવારે 9-30 કલાકે કરાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ ટ્રસ્ટી મંડળ દ્વારા હાજરી આપવા અનુરોધ કર્યો છે તેમ ‘અગ્ર ગુજરાત’ સાંધ્ય દૈનિકની મુલાકાતે આવેલા એસપીસીએફ રાજકોટના મંત્રી જી.એલ.રામાણી, ખોડલધામના ટ્રસ્ટી મનોજભાઇ સાકરીયા, ખોડલધામ ટ્રસ્ટ સંગઠન કન્વીનર રાહુલભાઇ ગીનોય, એકેડમીક કમિટી મેમ્બર એસપીસીએફ પિનલબેન સાવલીયા, એકેડમીક કમિટી મેમ્બર એસપીસીએફ નયનાબેન તંતી, એકેડમીક મેનેજર એસપીસીએફના નિરવ એમ. ભાલાળાએ જણાવ્યું હતું.


