બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા
નાગરિક સહકારી બેંક લિ. ચાલતા વાચનપરબના ૧૦૩માં મણકામાં ભગવતીકુમાર શર્મા લિખિત ‘અસૂર્યલોક’ની વાત પર સંવાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
વાંચન થકી શ્રેષ્ઠ સમાજનાં નિર્માણની નેમ સાથે કાર્યરત, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ચાલતા વાચનપરબના ૧૦૩માં મણકામાં સાહિત્યકાર-બહુમુખી પ્રતિભાશાળી સર્જક, અનુવાદક, પત્રકાર ભગવતીકુમાર શર્મા લિખિત ‘અસૂર્યલોક’ની વાત લેખક-કવિ-કટારલેખક શ્રી જવલંતભાઈ છાયાએ બેંકની હેડ ઓફિસ અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય ખાતે મનનીય પ્રસ્તુતિ કરી હતી.
જવલંતભાઈ છાયાએ રજુ કરેલ વક્તવ્યની આછેરી ઝલક, ‘આ પ્રકલ્પ રાજકોટ નાગરિક સહકારી અને સંસ્કારી બેંક ચલાવી રહી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. અસૂર્યલોકમાં ચાર પેઢી વાત રજુ કરી છે. આ કૃતિમાં આપણા ચારેય વેદની વાત છે. આંખ ન હોય એટલે દુનિયા જોઈ ન શકાય એ ભ્રમણા છે. આ આખી વાતને વિસ્તારીએ અને એમાં અનેક આયામો ઉમેરાય એટલે અસૂર્યલોક બને. આ ભગવતીકુમાર શર્માની આત્મકથાનાત્મક છે. આમાં ફક્ત હકકીકતોનું નિરૂપણ નથી પરંતુ અનુભવોની પ્રતિષ્ઠા છે. કથા સાહિત્યનું સત્ય જીવનના સાહિત્ય કરતાં વધારે વાસ્તવિક હોય છે. અસૂર્યલોક માત્ર ચર્મચક્ષુ ગુમાવ્યાની સ્થિતિને કારણે નથી સર્જાયો પરંતુ વાર્તાના પાત્રોનાં વર્તન અને જીવનમાં અસૂર્યલોક સર્જાયેલો દેખાય છે. અનેક પ્રકારના અંધકારમાંથી માણસનું જીવન પસાર થાય છે. આ નવલકથામાં સર્જકની મથામણ એવી છે કે અસૂર્યલોકથી સૂર્યલોક તરફ ગતિ નવલકથા દ્વારા કરવાની છે. પડકારોનો સામનો કરવા માટે સૌથી અગત્યનું અને ઉંચુ તત્ત્વ હોય તો તે પ્રજ્ઞા છે. બીજાની વેદનાને આપણે અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છે.’
વાચનપરબના આ કાર્યક્રમમાં બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, લલિતભાઈ વોરા, શાખા વિકાસ સમિતિના સદસ્યો, સહકારી આગેવાનો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, સીએ. પ્રવિણભાઈ ધોળકીયા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, આર. બી. ગણાત્રા, કેતનભાઈ લશ્કરી, હિતેશભાઈ રાચ્છે સ્મૃતિચિહ્ન અને રૂમાલ આપી જવલંતભાઈ છાયાનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સરળ-સફળ સંચાલન લેખક કૃતાર્થભાઈ પંડયાએ કર્યું હતું.


