અંબાલાલ પટેલની ઠંડક આપતી આગાહી
સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
વાવણી લાયક વરસાદ થવાની સંભાવના : ૨-3 દિવસમાં રાજયભરમાં જામશે ચોમાસું
તા.૨૯ થી ૭ જુલાઇ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, પૂર જેવી સ્થિતિની આગાહી : નર્મદાના સાગબારમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાના વરસાદને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ શરૂઆતી વરસાદને પગલે રાજ્યના ધરતીપુત્રોમાં વાવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ અથવા હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આગામી દિવસોમાં સારો એવો વાવણી લાયક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જૂન મહિનાના અંતમાં વાતાવરણમાં મોટો પલટો આવવાનો સંકેત છે. 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના ભેજવાળા પવનોને કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે અસરો જોવા મળશે.
જેના લીધે મહીસાગર, વડોદરા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નદી-નાળા છલકાઈ જાય અને પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
નર્મદા જિલ્લાના 6 તાલુકામાંથી સાગબારા તાલુકામાં 23 જૂને મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદી નાળાઓ છલકાયા છે. એ સાથે જ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, ડાંગ જિલ્લાના આહવા-ડાંગમાં 3.07 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.1 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે સુરત (માંડવી, અરેઠ, માંગરોળ, ઉમરપાડા) અને નવસારી (ચીખલી, ગણદેવી, નવસારી, જલાલપોર) ના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે, જ્યારે કોટડા સાંગાણીમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો છે.
નર્મદાના સાગબારામાં 0.75 ઇંચ તેમજ પંચમહાલના જાંબુઘોડા અને છોટા ઉદેપુરના કવાંટમાં સરખો એટલે કે 0.51 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય બોટાદ, રાણપુર, અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં 0.04 ઇંચથી લઈને 0.31 ઇંચ સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
દેશભરમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર અહેવાલ મુજબ, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના ભાગો ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ વિસ્તારોને આવરી ચૂક્યું છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, 22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તરીય રેખા (NLM) અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચતરા, ગયા અને મુઝફ્ફરપુર જેવા વિસ્તારો પરથી પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
126 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી સૂકો જૂન મહિનો
જૂન મહિનો દેશના ૧૨૬ વર્ષના ચોમાસાના રેકોર્ડમાં સૌથી સૂકો જૂન સાબિત થઈ રહ્યો છે. ૨૧ જૂન સુધીમાં, દેશમાં ફક્ત ૫૭ મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા ૪૨ ટકા ઓછો છે. કલ્પના કરો, વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ દેશના મોટા ભાગો હજુ પણ પાણીની રાહ જોઈ રહ્યા છે. ચાલો શોધવાનો પ્રયાસ કરીએ કે સૌથી મોટી સમસ્યા ક્યાં છે. હવામાન વિભાગ (IMD) ના ડેટા અનુસાર, મધ્ય ભારતમાં ૬૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ભારતમાં ૨૨ ટકા ઓછો વરસાદ પડ્યો છે, અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ૬ ટકા ઓછો વરસાદ પડ્યો છે. આનો અર્થ એ છે કે દેશનો મોટો ભાગ ચોમાસાની સુસ્તીની અસરો ભોગવી રહ્યો છે. આ ડેટાની ગુરુત્વાકર્ષણ મહત્વપૂર્ણ છે. ભારતમાં, ચોમાસા માત્ર વરસાદ લાવતો નથી, પરંતુ કૃષિ પણ તેના પર નિર્ભર છે. દેશનો આર્થિક વિકાસ પણ તેના પર નિર્ભર છે.
ચોમાસું મોડું પડતાં ખેડૂતોમાં ચિંતા
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ સામાન્ય કરતાં ધીમી રહી છે. ગુજરાત તરફ ચોમાસું આગળ વધવામાં વિલંબ થતાં કૃષિ ક્ષેત્રમાં ચિંતા વ્યાપી હતી. અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમયસર વરસાદ ન પડવાથી ખેતીના આયોજન પર અસર થવાની શક્યતા ઉભી થઈ હતી. પરંતુ હવે મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બનતાં ગુજરાતમાં પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની શક્યતા વધી ગઈ છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધુ વધારો જોવા મળી શકે છે.


