મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા
વાડીમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના પતિ-પત્નીની બોથડ હથિયારથી હત્યા; સ્થાનિક પોલીસ, LCB અને ડેપ્યુટી SP ઘટનાસ્થળે, હત્યારાની શોધખોળ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. વાડીમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના મૂળ વતની પતિ-પત્નીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં બંનેની બોથડ હથિયારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પાટણવાવ પોલીસ, રાજકોટ એલસીબી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોટી મારડ ગામની સીમમાં રમેશભાઈ ભૂતની વાડીમાં મધ્યપ્રદેશના મૂળ વતની રોહિતભાઈ અને તેમની પત્ની દુર્ગાબેન મજૂરી કામ કરતા હતા. બંનેના લગ્નને હજુ માંડ બે મહિના જેટલો સમય થયો હોવાનું જાણવા મળ્યું છે. વાડીમાં જ રહેતા આ દંપતિ સાથે મંગળવારની રાત્રે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાનું અનુમાન છે.
વાડીના માલિક રમેશભાઈ ભૂતના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે દુર્ગાબેનના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો અને વાડીમાં વીજળી બંધ થઈ જવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બંનેનો સંપર્ક થઈ શક્યો ન હતો. સવારે તેઓ વાડી પર પહોંચ્યા ત્યારે દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. રોહિતભાઈનો મૃતદેહ ખાટલા પર પડેલો હતો જ્યારે દુર્ગાબેનનો મૃતદેહ જમીન પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. બંનેના શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી બોથડ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનો કબજો લઈ જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ તથા રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વાડી અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. મૃતકોના મોબાઈલ ફોન, કોલ ડિટેઈલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
હત્યા પાછળ અંગત અદાવત, લૂંટ, કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિત તમામ સંભવિત દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ સુધી કોઈ આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસની વિવિધ ટીમો સક્રિય બની છે. નવપરિણીત દંપતિની આ કરૂણ હત્યાએ માત્ર મોટી મારડ જ નહીં પરંતુ સમગ્ર ધોરાજી પંથકમાં શોક અને ભયનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના આધારે હત્યાના કારણો વધુ સ્પષ્ટ થશે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવશે.


