સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત
પુત્ર સામે જ પિતાએ દમ તોડ્યો, બે માસૂમોના માથેથી ઉઠી પિતાની છત્રછાયા
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ શહેરમાં બેદરકાર વાહનચાલનની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રોંગ સાઇડમાં આવી રહેલા છોટાહાથી માલવાહકની ટક્કરથી બાઈક પર ઘરે જઈ રહેલા સિક્યોરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે. અકસ્માતમાં તેમના પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ પિતાનો જીવ બચી શક્યો નહોતો. આ ઘટનાથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી વિગતો મુજબ, વશરામભાઈ પરમાર પોતાના પુત્ર સાથે બાઈક પર પરસાણા ચોક તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે દોઢ વાગ્યે ફીલ્ડ માર્શલ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલા જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ પાસે પહોંચતા સામેની દિશામાં રોંગ સાઇડથી આવી રહેલા છોટાહાથી માલવાહકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં વશરામભાઈના માથામાં ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રને સામાન્ય ઈજા થતાં સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના પિતા પુંજાભાઈ પરમારે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અકસ્માત અંગે તેમને પુત્રવધૂ સીમાબેનનો ફોન આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ પહોંચતાં જાણવા મળ્યું કે પુત્રની સ્થિતિ ગંભીર છે અને થોડા જ સમયમાં તેનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બાદ મૃતકના દસ વર્ષીય પુત્રએ દાદાને અકસ્માતની સમગ્ર ઘટના જણાવી હતી. બાળકના જણાવ્યા મુજબ, રોંગ સાઇડમાં આવી રહેલા પાણીની બોટલો ભરેલા છોટાહાથી માલવાહકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત સમયે હાજર લોકોએ માલવાહકનો નંબર જીજે-03-બીટી-8049 હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદના આધારે તાલુકા પોલીસે માલવાહકના ચાલક સામે બેદરકારીપૂર્વક અને માનવજીવન જોખમાય તેવી રીતે વાહન હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વશરામભાઈ પરમાર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો. તેઓ બે ભાઈઓમાં મોટા હતા અને પરિવારની જવાબદારી તેમના ખભા પર હતી. તેમના નિધનથી પત્ની અને બે માસૂમ દીકરાઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


