વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર
આણંદ લાવવા સમયે ઉલ્ટીનું બહાનું કરી વાહન રોકાવી ચપ્પુ વડે હુમલો કરતા બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત, સ્વબચાવમાં ગોળીબાર કરતા આરોપી ઠાર
અગ્ર ગુજરાત, આણંદ
વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.
PSI રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત 18 જુલાઈની રાત્રિના આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 19 જુલાઈએ સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવતા, પ્રાથમિક દૃષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરીને પુરાવાનો નાશ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની ગંભીરતાને જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમોએ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી.
વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમ નરાધમની શોધખોળમાં લાગી હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો હતો. LCBની ટીમ 19 જુલાઈની મધરાતે જ્યારે આરોપી સુરેશ પરમારને લઈને આણંદ આવી રહી હતી, ત્યારે આરોપીએ રસ્તામાં ઊલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો. આરોપીના આ અચાનક હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પરિસ્થિતિ બેકાબૂ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને આત્મસમર્પણ કરવા અને રોકાઈ જવા વારંવાર ચેતવણી આપી હતી. છતાં આરોપી વધુ હિંસક બનતા અંતે પોલીસે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વ-બચાવમાં આરોપી પર ગોળીબાર કરવો પડ્યો હતો.


