ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો
3૨ જેટલા મુદાઓ પર ચર્ચા-વિચારણા કરાઇ : રાષ્ટ્રધ્વજ અંગે રજૂઆત
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ નગરપાલિકા ખાતે પ્રમુખ મનીષાબેન ગોવાણીના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ. જે. વ્યાસ સહિત તમામ ખાતાના ચેરમેનો અને નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.
જનરલ બોર્ડમાં શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લગતા કુલ 32 જેટલા મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, આ બેઠકમાં સ્વચ્છતા, ભૂગર્ભ ગટર યોજના, આંગણવાડી, વોટર સપ્લાય, વીજળી કંપનીને લગતા પ્રશ્નો તેમજ શિક્ષણ સમિતિના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા પોલીસ વિભાગ (DYSP અને PI) સાથે ખાસ સંકલન સાધવામાં આવશે. રોડ-રસ્તાઓ પર વાહન વ્યવહાર સુચારુ રહે તે માટે તાત્કાલિક અસરથી પીળા પટ્ટા (યલો લાઈન) દોરવાની કામગીરી શરૂ કરાશે. ભૂતકાળની સરખામણીએ આ વખતે પીળા પટ્ટાની ગુણવત્તા સારી રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
વેરી દરવાજા પાસે આવેલ શાક માર્કેટમાં નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા થળાની બહાર વેપારીઓ દ્વારા રેકડીઓ રાખી દબાણ કરવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ દબાણોના કારણે ખાસ કરીને બહેનો-દીકરીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની રજૂઆતો મળી હતી. પાલિકા તંત્ર દ્વારા નિયમભંગ કરતા વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. આગામી દિવસોમાં પોલીસ કાફલાને સાથે રાખી ખોટી રીતે રેકડીઓ રાખી ટ્રાફિકમાં અડચણરૂપ બનનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી રેકડીઓ જપ્ત/હટાવવામાં આવશે.
બેઠક દરમિયાન નગરપાલિકા સદસ્ય મયુરિબેન આચાર્ય દ્વારા કોલેજ ચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે દૈનિક ધોરણે રાષ્ટ્રીય ધ્વજનો ‘ધ્વજ ખંડ’ રોજિંદો રાખવામાં આવે તેવી સરાહનીય રજૂઆત કરવામાં આવી હતી.


