ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
એડવોકેટ દિનેશકુમાર સી. વોરાની ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી શહેરમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે એડવોકેટ દિનેશકુમાર સી. વોરા દ્વારા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં ધોરાજીના અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને શુદ્ધ પાણી મળતું નથી. નગરપાલિકા દ્વારા ઘર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા હોવા છતાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાના કારણે પાણીજન્ય રોગો, ચામડીના રોગો, ટાઈફોઈડ, કોલેરા, કમળો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
એડવોકેટ દિનેશકુમાર વોરાએ અરજીમાં ધોરાજી નગરપાલિકાને તાત્કાલિક અસરથી શુદ્ધ પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરવા, પાણીની ગુણવત્તાની તપાસ કરવા અને દૂષિત પાણીના વિતરણની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો નાગરિકોના આરોગ્ય અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે સંબંધિત તંત્ર જવાબદાર રહેશે.


