સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો
રોજિંદા જીવનમાં ઉપયોગી કૌશલ્યો અને સાધનોના ઉપયોગ અંગે શિક્ષકો દ્વારા અપાયો લાઈવ ડેમો; બાળકોએ જાતે બટન ટાંકવાથી લઈને ઈસ્ત્રી કરવા સુધીની તાલીમ મેળવી
અગ્ર ગુજરાત, સુરત: નાના વરાછા સ્થિત PM SHRI મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 ખાતે શનિવાર, 8 ઓગસ્ટ 2026ના રોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘જીવન કૌશલ્યમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ નાનપણથી જ વ્યવહારિક જીવનમાં ઉપયોગી કૌશલ્યો શીખીને સ્વાવલંબી બને તેવા હેતુથી યોજાયેલા આ મેળામાં 600થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ કૌશલ્યોનું પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપાબહેને પેપર ક્રાફ્ટમાંથી ત્રિરંગી ટોપી બનાવતા શીખવ્યું. શ્રીમતી હર્ષાબહેન પોપટે કપડાંની ઘડી કરવાની રીત દર્શાવી, જ્યારે સંગીતાબહેન પટેલે સોય-દોરા વડે શર્ટમાં બટન ટાંકવાની તાલીમ આપી હતી. રેખાબહેન વસોયા અને નયનાબહેન લાઠિયાએ જ્યુસર મશીન વાપરતી વખતે રાખવાની સાવચેતી અંગે લાઈવ ડેમો આપ્યો હતો. હર્ષાબહેન ભીમાણીએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનો ઉપયોગ સમજાવ્યો હતો.
હરસુખભાઈ રામોલિયા અને ગીરીશભાઈ ગોધાણીએ ડ્રિલ મશીનનો સુરક્ષિત ઉપયોગ દર્શાવ્યો હતો. નિલેશભાઈ સંઘાણી અને ચમનભાઈ ચોપડાએ પાનું, આરી, પક્કડ, પાવડો વગેરે સાધનોનો પ્રાયોગિક ઉપયોગ શીખવ્યો હતો. ઉપરાંત, આગ સામે સુરક્ષા માટે મોકડ્રિલ પણ યોજાઈ હતી.
શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળ બન્યું હતું. તેમણે જીવન કૌશલ્યો દ્વારા આજીવિકા મેળવવાની દિશામાં માર્ગદર્શન આપવાની સાથે આગામી સમયમાં “નોન-ફાયર કુકિંગ સ્પર્ધા” યોજવાની જાહેરાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનું સંચાલન રાજેશકુમાર ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.


