ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો
પરત ફરતી વખતે રોંગ સાઇડમાં આવતા ટ્રકે ઇકોને હડફેટે લેતા કચ્ચરઘાણ વળ્યો : પરિવારમાં કલ્પાંત સર્જાયો
અગ્ર ગુજરાત, વડોદરા
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રવિવારે બપોરે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના છ યુવકોનાં કરુણ મોત થયા છે. પંચકવાસા ગામ નજીક રોંગ સાઇડથી આવી રહેલી લોખંડનો સામાન ભરેલી ટ્રકે સામેથી આવી રહેલી મારુતિ ઈકો વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને તેમાં સવાર યુવકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, તમામ યુવકો ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. તેઓ મારુતિ ઈકો વાન નંબર GJ 17 CK 6134માં સવાર હતા. પંચકવાસા નજીક પહોંચતા જ સામેથી રોંગ સાઇડમાં આવી રહેલી ટ્રક નંબર GJ 39 DB 9248 સાથે તેમની વાનની સીધી ટક્કર થઈ હતી. અકસ્માતમાં છ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકો પંચમહાલ જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઉજ્જૈનમાં મહાકાળના દર્શન કર્યા બાદ તેઓ ઈકો વાનમાં ગુજરાત તરફ પરત ફરી રહ્યા હતા. ધાર જિલ્લામાંથી પસાર થઈ રહેલા આ માર્ગ પર પંચકવાસા ગામ નજીક અચાનક સામેથી આવેલી ટ્રક સાથે તેમની વાન અથડાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક લોખંડનો સામાન લઈને બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઇડથી ઉજ્જૈન તરફ જઈ રહી હતી. બીજી તરફ ઈકો વાન ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહી હતી. બંને વાહનોની સામસામે ટક્કર થતાં ઈકો વાનને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતમાં છ યુવકોનાં મોત થયા હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા ગુજરાતમાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એકસાથે છ યુવકોના મોતના સમાચારથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પરિવારજનો માટે આ અકસ્માત વધુ આઘાતજનક એટલા માટે પણ છે કે યુવકો ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. મહાકાળના દર્શન બાદ સલામત રીતે ઘરે પહોંચવાની રાહ જોઈ રહેલા પરિવારજનોને અચાનક અકસ્માત અને મોતના સમાચાર મળતાં ભારે આઘાત લાગ્યો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તેમને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા ઓળખ અને અન્ય જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.
મૃતકો પંચમહાલ જિલ્લાના શહેરા તથા ગોધરાના વતની
- શહેરા તાલુકાના ભુરખલ ગામના વિશાલસિંહ પરમાર
2.ગોધરાના મયુર દેવડા
3.ગોધરા તાલુકાના વેલવડના રાકેશ મકવાણા
4.ગોધરા તાલુકાના રતનપુરના પરેશ પરમાર
5.ગોધરાના વિમલસિંહ સોલંકી
6.ગોધરાના આંગડિયાના દીપક બારીયા


