સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત નિઃશુલ્ક આરોગ્ય ધામના ૧૨ વર્ષના સફળ સફર અને ગુણવત્તાસભર સેવાઓને બિરદાવાઈ
અગ્ર ગુજરાત, સાવરકુંડલા
અમરેલી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં સાવરકુંડલા સ્થિત ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ને નિઃશુલ્ક અને ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ મગીયાએ સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને કરાયેલું આ બહુમાન સ્વીકાર્યું હતું.
કેળવણીકાર રતિલાલ બોરીસાગરની પ્રેરણા અને પૂ. મોરારિબાપુના આશીર્વાદથી ૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ શરૂ થયેલી આ હોસ્પિટલે છેલ્લા ૧૨ વર્ષમાં ૨૪ લાખથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી છે. અહીં દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ દર્દીઓ ઓપીડી, ઓપરેશન, દવાઓ અને નિઃશુલ્ક ભોજનનો લાભ લે છે.
દર્દીઓ માટે ૬૫ હજાર ચોરસ ફૂટનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, જેમાં સીટી સ્કેન, એમઆરઆઈ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી વિભાગ અને નર્સિંગ કોલેજ શરૂ કરવામાં આવશે. માસિક આશરે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે ચાલતી આ હોસ્પિટલમાં ૪૦ ડોક્ટરો અને ૭૫થી વધુ સ્ટાફ સભ્યો સેવા આપે છે. સાવરકુંડલા પ્રેમીઓ અને દેશ-વિદેશના દાતાઓ દ્વારા આ સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થા દ્વારા નવા બિલ્ડિંગ અને અદ્યતન મેડિકલ મશીનરી માટે તિથિ દાન, બેડ અનુદાન અને ભોજન ખર્ચ સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે.


