ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી
અગ્ર ગુજરાત,રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પદે રહી ચુકેલા ડો.ગિરીશ ભીમાણીએ કિન્નાખોરીથી અનેક પગલાં લીધા હતાં. જેમાં કવિતા લખવાના ગુનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષને સસ્પેન્ડ કરી તેમની નોકરી લઇ લેવાના પ્રયાસ કર્યા હતાં. તેમના જ સતાકાળમાં ભીમાણીએ મનોજ જોશીને ફરજ ઉપર તો પરત લેવા પડયા હતાં.પરંતુ તેમનું ગુજરાતી ભવનના અધ્યક્ષપદ તો ધરાર નહોતું આપ્યુ. બાદમાં ડો.ભીમાણીની યુનિ.માંથી જ વિદાય થઇ ગઇ. પરંતુ તેમણે કરેલી ભુલ સુધારવાનું કામ નવા કુલપતિ ડો.નિલામ્બરી દવેના શિરે આવ્યુ અને તેમણે આ ભુલ સુધારી લીધી છે.
ગઇ કાલે સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના વડા તરીકે ડો.મનોજ જોશીને પુન: નિયુકત કરી દેવાયા છે. આ પગલાંને સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ ભવનના વડા અને પ્રાધ્યાપકો સહિત શિક્ષણ આલમમાં આવકારવામાં આવ્યુ છે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ડો.ભીમાણીએ લીધેલા અવિચારી પગલાંથી પદ્મશ્રી ગુણવંત શાહ,વરિષ્ઠ લેખક કવિ અનિલ જોશી સહિતનાએ ઝાટકણી કાઢી હતી. ખુદ ભાજપના અને સંઘના અગ્રણીઓ પણ ડો.ભીમાણીના નિરંકુશ સતાપ્રદર્શનથી નારાજ ચાલતાં હતાં. આ કારણે જ તેમને કુલપતિ પદેથી દૂર કરી ડો.નિલામ્બરીબેન દવેને કુલપતિપદનો કામચલાઉ ચાર્જ સોંપાયો છે. ટુંક સમયમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટિની બેઠક મળશે. બાદમા યુનિ.ને કાયમી કુલપતિ મળશે.
યુનિ.ના રજીસ્ટ્રાર ડો.હરિશ રૂપારેલિયા રાજીનામુ આપવા માગે છે
સ્વગૃહે મનપામાં સળંગ નોકરીના વધુ લાભ હોવાથી પદત્યાગ માટે કુલપતિને પત્ર લખ્યો
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાંથી સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર પદેનોકરીમા ગયેલા ડો.હરિશ રૂપારેલિયાને હવે સૌરાષ્ટ્ર યુનિ.માં આગળ નોકરી કરવી નથી. તેમણે કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેને એક પત્ર પાઠવી યુનિ.ના રજીસ્ટ્રાપદેથી તેમને મુકત કરવા માગણી કરી છે. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ તેમણે પોતાની જુની નોકરી સળંગ ગણી એ જ પદે નોકરીએ સ્વીકારી લેવા માગણી કરી છે.
આ અંગે ડો. રૂપારેલિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિ.મા તેમની રજીસ્ટ્રારપદની નોકરી છે એ મનપાની મારી ર૭ વર્ષની સળંગ નોકરી ગણવામાં નથી આવતી. આ ઉપરાંત રજીસ્ટ્રાર પદનો ગાળો પાંચ વર્ષનો ગણવામાં આવે છે. આ કારણે સળંગ નોકરી અને સ્વૈચ્છીક નિવૃતિ સહિતના લાભ અને પગારના લાભાલાભ જોતાં સૌરાષ્ટ્ર યુનિ.માં કામ કરવાને બદલે મને મનપામાં સળંગ નોકરી કરવી યોગ્ય લાગતાં મેં આ નિર્ણય લીધો છે.
યુનિ.ના નિષ્ણાતોના મતે સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રારનું પદ ખાસ કુશળતાં ધરાવતું અને મોટા વોલ્યુમનું કામ અને નિર્ણય પ્રકિયા લેતું પદ છે. આથી તેને માટે આઇએએસ કે એ કક્ષાના અધિકારી અને શૈક્ષણીક બેકગ્રાઉન્ડ ધરાવતાં તજજ્ઞની જરૂર પડે છે. ડો. રુપારેલિયા જુદા પ્રકારનો વહિવટી અનુભવ ધરાવે છે.
આમ સૌરાષ્ટ્ર યુનિ. માટે ફરી એક વખત રજીસ્ટ્રારની નિયુકિત પેચીદો પ્રશ્ન બનશે. ભવિષ્યમા આ પદ ઉપર મનપામાં જેમ આઇ.એ.એસ. કે એ કક્ષાના અધિકારી મૂકવામાં આવે છે એ અંગે વિચારણા થઇ શકે છે.