- પ્રતિબંધ ન હટે ત્યાં સુધી શ્રીલંકન ક્રિકેટ ટીમ આઇસીસીની ઇવેન્ટમાં ભાગ નહીં લઇ શકે
- આઇસીસીએ શ્રીલંકન બોર્ડ ક્રિકેટ શ્રીલંકાને સસ્પેન્ડ કરી દીધુ
- વર્લ્ડકપના શેડયૂલ પર આઇસીસીના આ નિર્ણયની કોઇ અસર નહીં
વર્લ્ડકપ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આઇસીસીએ શ્રીલંકન બોર્ડ ક્રિકેટ શ્રીલંકાને સસ્પેન્ડ કરી દીધુ છે. આઇસીસીનો આ નિર્ણય શ્રીલંકન સંસદ દ્વારા ગુરુવારે પોતાના બોર્ડ વિરુદ્ધ પસાર કરાયેલા એક પ્રસ્તાવ બાદ સામે આવ્યો છે. પ્રસ્તાવમાં શ્રીલંકન બોર્ડને બર્ખાસ્ત કરવાની માગ કરવામાં આવી હતી, જે પ્રસ્તાવને દેશની સત્તાધારી અને વિપક્ષી બંને પાર્ટીઓએ સમર્થન આપ્યુ હતું. આઇસીસીએ આ ઘટનાક્રમ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી હતી કે શ્રીલંકા ક્રિકેટ એક સભ્યના રૂપમાં પોતાની ફરજોનો ગંભીર રીતે ભંગ કરી રહ્યું છે. તેણે પોતાના તમામ મામલા સ્વાયત્ત રીતે મેનેજ કરવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટે આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શાસન, વિનિયમન અને અથવા તંત્રમાં કોઇપણ પ્રકારે સરકારી હસ્તક્ષેપ ન હોય. જ્યાં સુધી
આઇસીસી શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરથી પોતાનો પ્રતિબંધ નહીં હટાવે ત્યાં સુધી શ્રીલંકન ક્રિકેટ ટીમ કોઇપણ
આઇસીસી ઇવેન્ટમાં ભાગ નહીં લઇ શકે. જોકે, સારી વાત એ છે કે ICCએ વર્લ્ડકપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની તમામ મેચો સમાપ્ત થઇ ગઇ તે બાદ આ એક્શન લીધી છે તેવામાં વર્લ્ડકપના શેડયૂલ પર આઇસીસીના આ નિર્ણયની કોઇ અસર નહીં પડે.
શ્રીલંકા ક્રિકેટમાં ઉથલપાથલ
વનડે વર્લ્ડકપમાં શ્રીલંકન ટીમના ધબડકા બાદ શ્રીલંકાની સરકારે ક્રિકેટ બોર્ડને ભંગ કરી નાખ્યુ હતું. પરંતુ કોર્ટના હસ્તક્ષેપ બાદ બોર્ડને ફરીવાર બહાલી આપી દેવાઇ હતી. ત્યારબાદ સરકાર અને વિપક્ષે સાથે મળીને કોર્ટના નિર્ણયને બદલવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો હતો અને તેથી જ આઇસીસીએ આ નિર્ણય લીધો છે.


