પાકિસ્તાન પ્રેમી હેન્રી કિસિન્જરનું મૃત્યુ અને ખાલિસ્તાની ત્રાસવાદી નિખિલ ગુપ્તાની ધરપકડ થઈ છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વર્ષના અંતે અને આગામી ચૂંટણીઓ પહેલાં નવેસરથી સંબંધો અંગે ચર્ચા જાગી શકે છે
પાકિસ્તાન પ્રેમી હેન્રી કિસિન્જરને કેવી રીતે શ્રદ્ધાંજલિ અપાશે તે થોડું અપેક્ષિત છે. બાંગ્લાદેશની રચના વખતે કિસિન્જરે ભૂંડી ભૂમિકા ભજવી હતી. માનવ અધિકારનું તેનું વલણ શેતાની હતું – લોકો મરતાં હોય તો મરે, અમેરિકાનું હિત જળવાવું જોઈએ. આ બાબતને બીજી રીતે જોનારા પણ છે – અમેરિકાના હિતને સર્વોપરી રાખનારા આજના યુગના સૌથી તેજસ્વી વિદેશી સંબંધોના વ્યૂહકાર તરીકે તેમની વાહવાહ કરનારા અમેરિકામાં અસંખ્ય મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ટ્રમ્પેટ વગાડતા ચૂંટણીના મેદાનમાં છે ત્યારે એક માત્ર ઉદ્દેશ મેક અમેરિકા ગ્રેટ અગેઈન છે. એઝ ઇફ અમેરિકા ગ્રેટ રહ્યું ના હોય…
એક બીજી પણ ઘટના બની છે અને ભારત અને અમેરિકાના સંબંધોમાં તે અગત્યની સાબિત થવાની છે. કિસિન્જર પ્રકારના જડ લોકોને કારણે ભારત જેવા પ્રાચીન અને માનવીય પરંપરા ધરાવનારા દેશોએ ઘણું ભોગવવું પડ્યું છે. આજના યુગમાં પણ આતંકવાદ, ભાંગફોડ, વિભાજનના મુદ્દે પશ્ચિમના બેવડા ધોરણો યથાવત છે. ખાલિસ્તાની ત્રાસવાદીઓને સ્વતંત્રતા સેનાનીઓ ગણાવવાની મુરાદ કેનેડાના વર્તમાન શાસકોની રહી છે. કેનેડાએ આરોપ મૂક્યો તે પછી અમેરિકાએ પણ ભારત પર, તેની એજન્સીઓ પર અમુક પ્રકારની કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે. કેનેડાએ માત્ર આક્ષેપો કર્યા છે અને માહિતી ભાગ્યે જ આપી છે. અમેરિકા તરફથી વધારે માહિતી ભારતને અપાઈ છે અને ભારતે જણાવ્યું છે કે તેના કારણે જ ભારતીય અધિકારીઓ તપાસમાં અમેરિકાને સહકાર આપી રહ્યા છે.
હવે સમગ્ર વિગતો એ રીતે બહાર આવી છે કે નિખિલ ગુપ્તા નામના 52 વર્ષના એક ભારતીયની સામે ખાલિસ્તાની ગુરવંતસિંગ પન્નુનની હત્યાની સોપારી આપવાનો આરોપ મૂકાયો છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે નિખિલ ગુપ્તાએ શિખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુનની હત્યા માટે એક હત્યારાને એક લાખ ડોલર આપવાની તૈયારી બતાવી હતી. અમેરિકાના જાસૂસોને સોપારી અપાયાની ગંધ આવી ગઈ હતી અને પન્નુને બચાવી લીધો હતો, પણ ભારતના અધિકારીઓને ચેતવણી અપાઈ હતી કે અમેરિકાની ધરતી પર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.
કેનેડાએ આ જ પ્રકારનો આક્ષેપ કર્યો છે કે ખાલિસ્તાની ત્રાસવાદી હરદિપસિંહ નિજ્જરની હત્યામાં પણ મૂક્યા હતા, પણ કોઈ વિગતો આપી નથી. તેના કારણે કેનેડા અને ભારતના સંબંધો વણસ્યા છે, પણ અમેરિકાએ અગાઉથી જ ભારતના અધિકારીઓ સાથે માહિતી શેર કરી હતી અને તેના કારણે અત્યારે ભારતને સહકારનું વલણ દાખવ્યું છે. તેના કારણે જે રીતે કેનેડા સાથે સંબંધો વણસ્યા તેવું અમેરિકા સાથે થયું નથી. નજીકના ભવિષ્યમાં થશે પણ નહીં, કેમ કે ભારતની વિદેશ નીતિ હવે સ્પષ્ટપણ એ ભાષામાં વાત કરે છે જે અમેરિકાને, યુરોપને અને ગોરી પ્રજાને સમજમાં આવે. તમારા બેવડા ધોરણ વ્યવહારુ નીતિ કહેવાય અને અન્યના બેવડા ધોરણ ટિકાને પાત્ર એવું ચાલી શકે તેમ નથી.
હકીકતમાં સ્વહિતની વાતને બેવડા ધોરણ કહેવા પણ કેવી રીતે તે સવાલ રહેવાનો છે. હેન્રી કિસિન્જરે એ જમાનામાં ખુલ્લેઆમ પાકિસાતનની તરફેણ કરી હતી, બાંગ્લાદેશનું સર્જન ના થાય અને ભારત જેવા ભાવીની શક્યતા ધરાવતા દેશને બંને બાજુથી ઘેરી રખાય તેવી સ્ટ્રેટેજી માટે અથાક મહેનત કરી હતી. તેની સામે ઇન્દિરા ગાંધીએ લાલ આંખ કરી હતી અને ધરાર અમેરિકાની દાનતને તોડી પાડીને, રશિયા સાથે કરાર કરીને ભારતને તમે ચીલાચાલુ દેશ તરીકે ના લઈ શકો તે દેખાડી દીધું હતું.
એનું નામ જ રાજદ્વારી નીતિ, એનું નામ જ સ્વહિત સાથેની વિદેશ નીતિ. ભારત ખાલિસ્તાની કે એવા બીજો કોઈ પણ પરિબળોને જોર કરવા દઈ શકે નહીં. આ અઠવાડિયે જ મણીપુરમાં દાયકાથી વિદ્રોહ કરી રહેલા સંગઠન સાથે પણ ભારત સરકારે સમજૂતિ કરી છે અને શસ્ત્રો હેઠા મૂકાવ્યા છે. કાશ્મીરમાં પગલાં લઈને ત્યાંના ભાંગફોડિયા તત્ત્વોને કાબૂમાં લેવા મક્કમ વલણ ચાલતું જ રહ્યું છે. એ જ રીતે ભવિષ્યમાં નવેસરથી કોઈ મુશ્કેલી ના આવે તે માટે પન્નુન કે નિજ્જર જેવા તત્ત્વો વિદેશમાં મહાલતા હોય ત્યાં તેમને ઉગતા ડામી દેવા પડે. વિદેશમાં રહીને ફંડ એકઠું કરે, દેશમાં મોકલે અને ભાંગફોડ કરાવે તે ભારત ના ચલાવી શકે એટલી સાદી વાત અમેરિકા જેવો ચાલાક દેશ સમજી જાય છે, કેનેડાને સમજતા કદાચ વાર લાગશે.