- ગુજરાતમાં લાંચ- ભ્રષ્ટાચારનું નવુ સ્વરૂપ એટલે બ્રધરહૂડ અને બેચિઝમ
- ગુજરાત સરકારમાં ગૃહ, પંચાયત, મહેસૂલમાં સૌથી વધુ લાંચના કેસ, પણ IAS, IPS કે ક્લાસ-1 નહીં
- ACBએ એક વર્ષમાં ક્લાસ વનમાં 9, વર્ગ- 2ના 30 અધિકારી અને 94 વચેટિયા રંગે હાથે પકડયા
ગુજરાતમાં ‘કોઈ પણ લાંચ માંગે તો ટોલ ફ્રી નંબર- 1064 ઉપર કોલ કરો’ ઢોલ પિટનાર લાંચ રૂશ્વત બ્યુરો- ACBને રોજેરોજ સેંકડો ફોન કોલ્સ, લેખિતમાં રજૂઆતો અને કેટલાક કિસ્સાઓમાં તો પુરાવાની સાથે ફરિયાદો મળવા છતાંયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- UPSCમાંથી સરકારી સેવામાં આવતા IAS, IPS કે IFS ઓફિસરોમાંથી કોઈ લાંચ લેતા કે માંગતા મળતા નથી ! વાંરવાર લાંચિયા અધિકારી- કર્મચારી સામે ઝુંબેશનો દાવો કરનાર ACBએ વર્ષ 2022માં શોધેલા 252 લાંચના કેસમા સૌથી વધુ લાંચિયા વર્ગ- 3માંથી પકડયા છે. જે સ્વંય સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં લાંચિયા, ભ્રષ્ટાચારીઓ નીચીલી પાયરીએ જ છે અને ઉપલા વર્ગના અફસરાન દૂધે ધોયેલા છે.
ACBએ ગતવર્ષે કરેલી કામગીરીના અહેવાલમાં 94 વચોટીયા અર્થાત સરકારી સેવામાં ન હોય તેવા ખાનગી માણસો મળીને કુલ 252 આરોપીઓ સામે ભ્રષ્ટ્રાચારના ગુના નોંધ્યાનો દાવો કર્યો છે. જેમાં વર્ગ-3ના 114, વર્ગ-4ના પાંચ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ 252 લાંચિયા આરોપી પૈકી 213 તો સરકારી સિસ્ટમમાં સાવ નીચલી પાયરીના છે. જ્યારે ક્લાસ- વનના નવ અને વર્ગ-2ના 30 મળી 39 અધિકારીઓ સામે જ કેસ નોંધાયો છે.
ACBમાં સૌથી વધુ ગુન્હા ગૃહ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તેમજ મહેસૂલ વિભાગના છે. આ ત્રણેય વિભાગોમાં સૌથી વધારે IAS, IPS, IFS અને GAS સમેત સ્ટેટ કેડરના સૌથી વધુ ક્લાસ વન ઓફિસરો હોવા છતાંયે ACBને આ રેન્કમાંથી એક પણ અધિકારી લાંચ માંગતા મળ્યા નથી ! આથી, જેનુ કામ ભ્રષ્ટાચારી, લાંચિયાને શોધવાનું તે આખુય તંત્ર નબળુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. જેની પાછળ UPSC અને GPSCમાંથી સિલેક્ટ થઈને સરકારી સેવામાં આવતા ઓફિસરોમાં ચાલતા બ્રધરહુડ અને બેચિઝમ પણ કંઈક અંશે કારણભૂત હોવાનું કહેવાય છે. જે પણ એક પ્રકારે લાંચ અને ભ્રષ્ટ્રાચારનું નવુ સ્વરૂપ છે.
બ્રધરહૂડઃ એકમેકને સાચવવાની રમતને આ રીતે સમજો
જ્યાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે તે ગૃહ, પંચાયત- ગ્રામ વિકાસ, મહેસૂલ અને વન- પર્યાવરણ વિભાગમાં ‘સત્તાના દુરપોયગ’નો એક પણ કિસ્સો નથી ! આ વિભાગોના તાબા હેઠળ છેક જિલ્લા સ્તરે સૌથી વધુ IAS, IPS, IFS અને GAS સમેત સ્ટેટ કેડરનું મોનિટરીંગ છે. આથી, જો કોઈ વર્ગ- 3ના કર્મચારી સામે ‘સત્તાના દુરુપોયગ’ સબબ કેસ થાય તો તેની સીધી અસર ઉપલા સ્તરે મોનિટરિંગ ઓથોરિટીને થાય અને તેવામાં મોટા અધિકારીઓને સાંગોપાંગ બચાવવા માંડ ત્રણ કેસ સત્તાના દુરુપયોગ સબબ નોંધાયા છે. જે સ્વંય સ્પષ્ટ કરે છે કે સરકારી સિસ્ટમમાં ઉપલાસ્તરે અંદરાખાને કઈ હદે બ્રધરહૂડ ચાલી રહ્યુ છે.


