- સંસદની સુરક્ષામાં ચૂક મામલે 6 શખ્સોના ષડયંત્રનો ખુલાસો
- દિલ્હી પોલીસ કરી રહી છે આરોપીઓની તમામ પૂછપરછ
- આરોપીઓ સાંસદ પ્રતાપ સિમ્હાનો વિઝિટર પાર લઈને આવ્યા હતા
સંસદ પર આતંકી હુમલાની 22મી બરસી પર સંસદ ભવનની સુરક્ષામાં એક મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખ્સો સાંસદો વચ્ચે કુદી પડ્યા હતા અને કલર સ્મોક ઉડાડ્યો હતો. આ ઘટના બાદ ગૃહમાં અંધાધૂંધી મચી ગઈ હતી. સંસદીય કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલમાં, દિલ્હી પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે જેને લઈને સંસદ ગૃહ પોલીસ સ્ટેશનમાં પણ FIR નોંધવામાં આવી છે.
સાંસદોએ જણાવ્યું હતું કે જે શખ્સે આ ઘટનાને અંજામ આપી તેને સાંસદ પ્રતાપ સિમ્હા દ્વારા વિઝિટર પાસ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં પ્રતાપ સિમ્હાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રતાપ સિમ્હાએ પણ આ મુદ્દા પર સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીની સામે સ્પષ્ટીકરણ આપ્યું છે.
કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા
પ્રતાપ સિમ્હા ભાજપના લોકસભા સાંસદ છે. સિમ્હા હાલમાં કર્ણાટકની મૈસુર-કોડાગુ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમનો જન્મ જૂન 1976 માં કર્ણાટકના હસન જિલ્લાના બેલુરમાં થયો હતો. પ્રતાપે મંગ્લોર યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં એમએ કર્યું છે.
પત્રકારત્વ કરતા કરતાં ભાજપમાં જોડાઈ ગયા
પ્રતાપનું વ્યાવસાયિક જીવન પત્રકારત્વથી શરૂ થયું હતું. પ્રતાપ 1999માં કન્નડ અખબાર ‘વિજય કર્ણાટક’માં ઈન્ટર્ન તરીકે જોડાયા હતા. બાદમાં તેઓ તે જ અખબારમાં તંત્રી પદે પહોંચ્યા હતા. ધીમે ધીમે રાજકારણમાં તેમનો રસ વધતો ગયો અને 2014માં તેમણે ભાજપ તરફથી ઉડુપી-ચિકમગલુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. ભાજપે પ્રતાપને ચૂંટણી લડવાની તક આપી, પરંતુ મૈસુર બેઠક સોંપવામાં આવી. ચૂંટણી લડવાની તક મળી ત્યારે તેઓ સફળતાપૂર્વક લડ્યા અને મૈસુર બેઠક પરથી જીતીને સંસદમાં પહોંચ્યા. તેઓ કર્ણાટક ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
2019માં તેઓ ફરી સાંસદ બન્યા
જૂન 2015માં, પ્રતાપ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય બન્યા. જાન્યુઆરી 2015 થી મે 2019 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) ના સભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ, 2019માં, પ્રતાપ ફરી એકવાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
વિવાદોમાં રહી ચૂક્યા છે પ્રતાપ સિમ્હા
પ્રતાપ પોતાના સંસદીય કાર્યકાળ દરમિયાન અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. 2015 માં, તેમણે ટીપુ સુલતાનની જન્મજયંતિ ઉજવવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. 2017 માં, પોલીસે તેમના લોકસભા મતવિસ્તારમાં આવતા નગર હનુમાન જયંતિના આયોજકો દ્વારા આયોજિત શોભાયાત્રા સામે પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા હતા. પ્રતિબંધિત આદેશોના ઉલ્લંઘન બદલ સિમ્હાની ધરપકડ કરવામાં આવી હતી.
2017માં સિમ્હા એક્ટર પ્રકાશ રાજ વિરુદ્ધ નિવેદન આપીને ફરી વિવાદમાં આવી ગયા હતા. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પ્રકાશ રાજ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ પ્રતાપે અભિનેતાના જાહેર જીવન પર ટિપ્પણી કરી હતી. બાદમાં એક્ટર પ્રકાશ રાજે સિમ્હાને એક કાનૂની નોટિસ ફટકારી હતી જેમાં તેમને બિનશરતી જાહેર માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં સિમ્હાએ પોતાના નિવેદન બદલ જાહેરમાં પ્રકાશ રાજની માફી પણ માંગવી પડી હતી.


