- નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થયો
- સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહિ
- બ્રિજ બનતા પહેલા જ દુર્ઘટના થતા કામગીરી પર સવાલ
વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટના સમયે રેલવે ફાટક ખુલ્લું હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના માણેજા વિસ્તારમાં મકરપુરા રેલવે સ્ટેશન પાસે હાલ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સોમવારે બ્રિજનો સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બ્રિજનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો. જેને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ દરમિયાન બ્રિજના બાજુમાં એક દુકાનમાં બેઠેલી મહિલા પર સ્લેબનો તાજો બનાવેલો માલ પડ્યો હતો. જેથી મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. આ દુર્ઘટના બની ત્યારે રેલવે ફાટક ખુલ્લું હતું જેથી બ્રિજ પાસે કોઈ વાહનો ઉભા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદનસીબે બ્રિજની ઉપર કામગીરી કરી રહેલા મજૂરોનો પણ બચાવ થયો હતો અને નીચે પણ કોઈ વ્યક્તિ ઊભું ન હોવાથી દુર્ઘટના ટળી ગઈ હતી.


