- સંસદની ઘટનાની ઝીણવટથી તપાસ જરૂરી : PM
- એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં PMએ કહ્યું
- સંસદમાં થયેલી ઘટનાનો હેતુ જાણવો જરૂરી: PM
પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે દલીલો કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે. આપણે સમજવાની જરૂર છે કે આવુ શા માટે કરવામાં આવ્યું હતું.
આ ષડયંત્ર પાછળ કોણ છે ઝીણવટથી તપાસ કરાશે: PM મોદી
વડાપ્રધાને કહ્યું કે આપણે આ દુર્ઘટનાના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ શોધવો જોઈએ, જેથી તે ફરીથી ન બને. પીએમે કહ્યું કે આ ઘટના બાદ લોકસભાના અધ્યક્ષે ઉંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે અને અમને બધાને વિશ્વાસ છે કે આ ષડયંત્ર પાછળનુ સત્ય બહાર આવશે. આ સાથે તેમણે કહ્યું કે આ ઘટના પાછળ આરોપીઓના ઈરાદા શું હતા અને તેની પાછળ કયા તત્વો સક્રિય હતા તે જાણવું જરૂરી છે.
ઓમ બિરલાએ લોકસભાના સાંસદોને પત્ર લખ્યો હતો
આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં ઓમ બિરલાએ 13 ડિસેમ્બરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે આ ઘટના માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું છે કે, 13 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણા બધા માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. અમે આ ઘટના અંગે ગૃહમાં સામૂહિક રીતે ચિંતા વ્યક્ત કરી હતી. તે જ દિવસે મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી કે આપણે સંસદની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરી શકીએ. તે બેઠકમાં આપે આપેલા મહત્વના સૂચનો તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે.


