- કોરોનાને કારણે 1 વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો
- કોરોનાકાળના ત્રણ વર્ષમાં કેરળમાં કુલ 72,053 લોકોના મોત
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 20 ડિસેમ્બરે કરશે બેઠક
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 127 નવા કેસ નોંધાયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આમાંથી 111 કેસ એકલા કેરળમાંથી સામે આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે 1 વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1634 પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 72,053 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં દેશમાં 115 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.
આરોગ્ય મંત્રી બુધવારે કરશે બેઠક
દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 20 ડિસેમ્બરે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. બેઠકમાં તેઓ આરોગ્ય સેવાઓની સજ્જતાની તપાસ કરશે અને કેટલાક રાજ્યોમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોની ચર્ચા કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો (સ્વાસ્થ્ય) હાજર રહેશે. આ ઉપરાંત આરોગ્ય સંબંધિત બાબતો સાથે સંબંધિત મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ પણ આ બેઠકનો ભાગ હશે.


