પટોળા ની ડીઝાઈનના કાપડ માંથી બનાવવામાં આવે છે કલાત્મક પર્સ,મોજડી, બટવા જેવી વિવિધ વસ્તુઓ
પરિવારના પુરુષ સભ્યો સાથે મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને કરી રહી છે કામ
રાજકોટના સિંગલ ઈકત પટોળા એ એક પરંપરાગત રીતે હાથવણાટની સાડી છે. આ સાડીઓ તેમની જટિલ ડિઝાઇન, વાઇબ્રન્ટ રંગો અને દોષરહિત વણાટ માટે જાણીતી છે. કારીગરોની પેઢીઓનું કૌશલ્ય અને કારીગરીનો પુરાવો છે આ સિંગલ ઈકત વણાટ પટોળા. જેમણે આ કલાને જીવંત રાખવા માટે સખત મહેનત કરી છે. સાડીઓ પણ કલા, કારીગરી અને લાવણ્યનું સંપૂર્ણ મિશ્રણ છે. રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળા ખાતે ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાનું નિર્માણ કર્યું હતું, જેના માધ્યમથી પટોળા કળાની તાલીમ આપવામાં આવી હતી.
પટોળા સાડી ઉપરાંત પટોળા લહેંગા, દુપટ્ટા, પટોળા શાલ, પોટલી પર્સ, ક્લચ પર્સ, મોજડી તથા પુરુષો માટે પટોળા ટાઈ, નહેરુ જેકેટનું પણ બનાવવામાં આવે છે. આ વ્યવસાયમાં પુરુષો સાથે મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને કામ કરે છે.ઈ.ડી.આઈ.આઈ. દ્વારા સહકારી મંડળી બનાવવામાં આવી છે જેમાં ૨૬ મહિલા સભ્યો છે. રાજકોટમાં પટોળા બનાવતા અનેક પરિવારો છે જેમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે
ગત માસ ઓ.ડી.ઓ.પી યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટને તેની વિશિષ્ટ કળા તરીકે સમાવિષ્ટ કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. આ વણાટકળામાં મશીનનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્રણ પેઢીથી રાજકોટ ખાતે સિંગલ ઈકત વણાટ પટોળાની કળા સાથે જોડાયેલા રાઠોડ પરિવારના ચંદ્રેશભાઇ રાઠોડે કહ્યું હતું કે, સિંગલ ઈકત પટોળાને “રાજકોટી પટોળા” પણ કહેવાય છે
પટોળાની ખાસિયત તથા તેના તાણાવાણાની ગૂંથણી વિશે તેઓએ જણાવ્યું હતું કે, અમે સિંગલ ઈકત પટોળાના વણાટ માટે મલબારી રેશમનો ઉપયોગ કરીએ છીએ. આ પટોળામાં ૨૮૫૦, ૩૨૦૦ અને ૩૩૦૦ ઉભા તારની તાણી અને ૬૧ તારની આડી તારની લટ દ્વારા વણાટ કામ કરવામાં આવે છે. વિશિષ્ટ ગુંથણી સંપૂર્ણ હાથ બનાવટથી કરવામાં આવે છે. એક સાડી બનાવટમાં ૬૫૦ ગ્રામ જેટલું શુધ્ધ રેશમ વપરાય છે. રાજકોટ પટોળાની સાડી વણતી વખતે ચોકસાઈ અને ધીરજની ખુબ જ જરૂર પડે છે. રાજકોટ પટોળાની લૂમ ઘણી રીતે અનોખી છે. એક સાડી પર બે લોકોએ બેસીને સાથે કામ કરવું પડે છે. રાજકોટનું એક પટોળું બનાવવામાં ૧૫ દિવસ થી એક મહીનો જેટલો સમય લાગે છે. સરકાર દ્વારા યોજાતા અનેક પ્રદર્શનમાં અમારી આ કળાને વેચાણ હેતુ અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવી સરકાર દ્વારા અમને ખૂબ સહકાર આપવામાં આવે છે. પરંપરાગત કળાને આધુનિકતા સાથે મેળાપ કરાવતા આ સિંગલ ઈકત પટોળામાં પરંપરાગત પેટર્ન નવરત્ન, માણેકચોક, પાનચંદા, નારીકુંજન જેવી નાની ભાત અને અડતાલુ જેવી મોટી ભાતને આધુનિક રંગ સંયોજન સાથે બનાવવામાં આવે છે. રાજકોટના રાઠોડ બંધુઓ ત્યારે રાજ્ય સરકારની ઓ.ડી.ઓ.પી. યોજના દ્વારા આ કળાને વધુ વેગ મળશે તેમજ હાલના તેના કારીગરોને .ઉત્તમ વ્યાવસાયિક તકો પણ મળશે. આ યોજના દ્રારા કળા અને તેના કારીગરોને ઉજજવળ ભવિષ્ય મળી શકે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ સહયોગ પ્રદાન કરી રહી છે.
.