ઉલ્ફાના એક જૂથ સાથે કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકારના શાંતિ કરારને કારણે ચાર દાયકા પછી એક મહત્ત્વનું કદમ આગળ ભરી શકાયું છે
ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમના એક જૂથે હથિયારે હેઠે મૂકીને ભારત સરકાર સાથે શાંતિ કરાર કરવા માટેનું સ્વીકારી લીધું છે. ઉલ્ફામાં રહેલું આ જૂથ એવું હતું જે માનતું હતું કે ઘર્ષણથી નહીં, પણ વાટાઘાટોથી ઉકેલ આવી શકે છે. આ શાંતિ કરારથી ઇશાન ભારતમાં એક મહત્ત્વનું કદમ આગળ વધી શકાયું છે. થોડા વખત પહેલાં મણિપુરમાં પણ શાંતિ કરાર થયા હતા અને 2015માં નાગા પીસ એકોર્ડ પણ થઈ શક્યો હતો. તે રીતે ધીમે ધીમે ઈશાન ભારતમાં અલગતાવાદી જૂથો શાંત થઈ રહ્યા છે અને વાટાઘાટોથી ઉકેલ લાવવાનો માર્ગ સ્વીકારી રહ્યા છે.
ઉલ્ફાની સ્થાપના 1979માં થઈ હતી. તે વખતે સ્થાનિક લોકોને ચિંતા એ હતી કે બહારથી મોટા પાયે લોકો આવી રહ્યા છે ત્યારે પોતાનું શું થશે. ખાસ કરીને ચાના બગીચામાં બહારથી મજૂરો મોટી સંખ્યામાં આવતા હતા. આસામમાં તેલના કુવા પણ મળ્યા હતા અને કોલસાની ખાણો પણ ખોદાવા લાગી હતી. તે માટે મોટા પાયે મજૂરો જોઈએ, જે બહારથી આવતા હતા. તે પછી સમસ્યા વકરી બાંગ્લાદેશમાંથી મોટા પાયે ઘૂસણખોરીને કારણે. તેના કારણે હવે આંદોલનો કરવા પડે તેવી સ્થિતિ આવી હતી. 1985માં આસામ કરાર થયો હતો ખરો, પણ તે પછીય કેટલાક જૂથોએ સશસ્ત્ર લડાઈ ચાલુ રાખી હતી.
1990ના દાયકાથી કેન્દ્ર સરકારે પણ પ્રયત્નો શરૂ કર્યા હતા કે હથિયાર ઉપાડનારા સામે કાર્યવાહી કરવામાં આવે. ઓપરેશન બજરંગ હેઠળ તે દાયકામાં 1221 ઉલ્ફા ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. આસામમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ લાગુ કરાયો હતો અને સેનાને ઘણી છૂટ આપવામાં આવી હતી. સાથે જ ઉલ્ફાના કેટલાક લોકો સાથે ખાનગીમાં વાતો ચાલતી જ રહી હતી. સરન્ડર્ડ ઉલ્ફા એટલે કે સુલ્ફા એવું એક નામકરણ થયું હતું. શરણે આવનારા ઉલ્ફાના ઉગ્રવાદીઓનું એક જૂથ બનાવાયું હતું. તેમનો ઉપયોગ કરીને ઉલ્ફાને નબળું પાડવાનું કામ ચાલતું રહ્યું હતું. ઉલ્ફાના ઉગ્રવાદીઓને શોધીને સુલ્ફાવાળા ખતમ પણ કરતા હતા તેવા આક્ષેપો પણ થતા હતા.
પરંતુ તે રીતે કાયમી ઉકેલ આવે તેમ નહોતો. ઉલ્ટાનું સેનાની કાર્યવાહી અને સુલ્ફાના ઓપરેશને કારણે સ્થિતિ તંગ જ રહેતી હતી. મ્યાંમારના જંગલોમાં તેને આશરો પણ મળતો હતો. પાકિસ્તાન પ્રેરિત કેટલાક ઉગ્રવાદી જૂથો પણ મ્યાંમારના જંગલોમાં સક્રિય થયા હતા. આ જૂથો ઉલ્ફા તથા અન્ય જૂથો સાથે સંકલન કરીને ભાંગફોડ કરતા હતા. તેથી કડક કાર્યવાહી સાથે વાટાઘાટનો માર્ગ પણ મોકળો રખાયો હતો અને આખરે તેમાં સફળતા મળી. ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હેમંતા શર્માની સામે ઉલ્ફાએ શરણાગતિ સ્વીકારી. સ્થાનિક લોકો માટે અનામત બેઠકો, પંચાયતમાં બેઠકો અનામત અને આર્થિક પેકેજ સહિતની માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, તેથી આ કરાર નક્કર સાબિત થશે એમ લાગે છે.