કલા ગુરુ જીગ્નેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ હિમાની માંડલિયા ભરતનાટ્યમની સાધનાના ભાગ રૂપે પ્રથમ વખત જાહેર મંચ પર કરશે પદાર્પણ
આપણે માનીએ છીએ કે જીવનના દરેક પાસાઓ અને વસ્તુઓનું સર્જન ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે તો નૃત્ય પણ તેમાં અપવાદ નથી.ભાવ રાગ અને તાલના ત્રિવેણી સંગમ થી જન્મેલી અમૃત ધારા એટલે ભરતનાટ્યમ.આ નૃત્ય શૈલી દક્ષિણ ભારતના તામિલનાડુ વિસ્તારની છે. શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ માની સૌથી પ્રાચીન અને પ્રચલિત શૈલી જે 5000 વર્ષોથી અવિરત રીતે એક અથવા બીજા સ્વરૂપે રજૂ થઈ રહી છે અને થતી રહેશે. હજારો વર્ષોથી મંદિરમાં ભગવાનની આરાધના રૂપે દેવદાસીઓ આ નૃત્ય રજૂ કરતા, પરંતુ વર્તમાન સમયમાં નૃત્યકારો દ્વારા મંદિરની સાથે રંગમંચ પર પણ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવે છે.આરંગેત્રમ શબ્દનો શાબ્દિક અર્થ રંગમંચ આરોહણ તેમજ તાત્વિક અર્થ દીક્ષાંત સમારોહ થાય છે. વર્ષોની સતત નૃત્ય સાધના અને કુશળ ગુરુના માર્ગદર્શન હેઠળ પદ્ધતિસરની તાલીમ લીધા બાદ કલાકાર પ્રથમ વખત જાહેર મંચ પર પદાર્પણ કરે છે. નૃત્યના આરાધ્ય નટરાજ અને નૃત્ય ગુરુના આશીર્વાદ લઈને નૃત્ય સાધિકા પોતાની કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા, શારીરિક અને માનસિક ક્ષમતા તેમજ પ્રતિભાને લોક સમુદાય સમક્ષ રજૂ કરે છે.
રાજકોટના જ્યોતિબેન તથા રાજેશભાઈ માંડલીયાની દીકરી હિમાનીનું આરંગેત્રમ આજ રોજ સવાણી પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે સાંજે 5:30 કલાકે યોજાવા જઈ રહ્યું છે. હિમાની માંડલિયા બીસીએનો અભ્યાસ કરી રહ્યા છે. નૃત્ય ક્ષેત્રમાં તેણીએ મધ્યમાં પૂર્ણ સુધીની તાલીમ મેળવેલ છે. છેલ્લા છ વર્ષથી નૃત્ય ક્ષેત્રમાં જોડાઈને સઘન મહેનતથી ગુરુ જીગ્નેશ સુરાણી અને ક્રિષ્ના સુરાણીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમ ક્યારે સાધનામાં પરિવર્તિત થઈ ગઈ એ ખબર જ ના રહી. આજે તે નૃત્યના આરાધ્યદેવ શ્રી નટરાજ, કુળદેવી માતાજી,માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદથી પોતાની સાધનાને આરંગેત્રમ રૂપે પ્રસ્તુત કરશે.
આરંગેત્રમમાં તેણી પુષ્પાંજલિ,રામસ્તુતિ,અલ્લા રીપુ, જતીશ્વરમ, શબ્દમ, વર્ણમ, તિલ્લાના રજૂ કરશે. ગાયનમાં સાથ આપશે,વિદ્યા શ્રીનિવાસન, મૃદંગમમાં શ્રી નિવાસન વાયોલિનમાં સારદા પ્રસન્ન દાસ,બાસુરીમાં ફેનિલ સોની તબલામાં રમણીકભાઈ માલકીયા સાથ આપશે. કલા ગુરુ જીગ્નેશભાઈ સુરાણી અને તેમના નાના બહેન ક્રિષ્નાબેન સુરાણીએ 2007માં શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ તેમજ ગુરુ શિષ્ય પરંપરા આગળ વધારવા તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્થાપના કરેલ. આ સંસ્થામાં નૃત્ય વિદ્યાર્થીઓને વિશારદ અલંકારની ડિગ્રી સાથે જીવનના સાચા મૂલ્યો પણ શીખવવામાં આવે છે ગુજરાતના અનેક શહેરોમાં કાર્યરત આ સંસ્થાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નૃત્ય પ્રસ્તુતિ કરી રહ્યા છે. આરંગેત્રમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુ મૈશિલી દેસાઈ,બરોડા,ગુરૂ કાનન વિરાટ ભટ્ટ કેનેડા,રાજકોટ મેયર નયનાબેન પેઢલીયા, આરએસએસ પ્રાંત સંઘ સંચાલક મુકેશભાઈ મલકાણ, પ્રાંત વ્યવસ્થાપક પ્રમુખ આરએસએસ નરેન્દ્રભાઈ દવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલાંબરીબેન દવે તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. પરમ શાંતિધામ નર્મદાના શ્રી જીતાત્માનંદ સ્વામી ખાસ હાજર રહી આશીર્વાદ પાઠવશે.