- મોટી સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થીઓ પહોંચી રહ્યા છે ઈન્ડોનેશિયા
- ઈન્ડોનેશિયામાં થઈ રહ્યો છે રોહિંગ્યાઓનો સખત વિરોધ
- વિરોધ છતાં રવિવારે રોહિંગ્યાઓની વધુ એક બોટ પહોંચી
સપ્તાહો સુધી દરિયાઈ સફર ખેડીને લગભગ 150 રોહિંગ્યા શરણાર્થીઓ ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના એક દરિયા કિનારે પહોંચ્યા છે જેમાં મોટા ભાગના ભૂખ્યા અને નબળા બાળકો અને મહિલાઓ જ છે. અધિકારીઓએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી, ગ્રામ પ્રધાન મુહમ્મદ અમીરુદ્દીને કહ્યું હતું કે 53 પુરુષો, 39 મહિલાઓ અને 55 બાળકોનો સમૂહ શનિવારે મોડી રાત્રે લંગકટ જિલ્લાના કરંગ ગાદીહ દરિયા કિનારે આવી પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે એજ જર્જર, ક્ષતિગ્રસ્ત લાકડાની બોટ જે તેમને બાંગ્લાદેશ થઈને લાવી હતી, તે ગામથી થોડી દૂર એક લાઇટ હાઉસ ટાવરના કિનારે બાંધેલી મળી આવી છે.
લાંબી મુસાફરી બાદ શરણાર્થીઓ માંથી પાંચ લોકો બીમાર પડી ગયા હતા અને સ્થાનિક લોકોએ તેમને જમવાનું અને પાણી આપ્યું હતું. તેઓ તેમના આગળનું ગંતવ્ય નિર્ધારિત કરવા માટે ઇમિગ્રેશન અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓની રાહ જોઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક લોકો પોતાના સમુદાયમાં શરણાર્થીઓને આશરો આપવાના પક્ષમાં નથી અને ગત સપ્તાહે અનેક લોકોએ તાજેતરમાં રોહિંગ્યાઓના આવવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગામમાં નથી ઇચ્છતા લોકો
અમીરુદ્દીને કહ્યું કે અમે લોકોની મદદ કરી કારણ કે તેઓ ભૂખ અને ડિહાઈડ્રેશનને કારણે ખૂબ જ કમજોર થઈ ગયા હતા. પરંતુ ઘણા લોકો નથી ઇચ્છતા કે તેઓ અમારા ગામમાં રહે. કારણ કે બાદમાં તેઓ માત્ર સમસ્યાઓ જ ઊભી કરે છે. તેમણે કહ્યું કે શરણાર્થીઓમાંથી એકે અધિકારીઓને જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશના કોક્સ બજાર શરણાર્થી શિબિરમાંથી ઇન્ડોનેશિયા જવા નીકળ્યા અને ટાપુ પરના એક દીવાદાંડી સુધી પહોંચ્યા.
બાંગ્લાદેશમાંથી પણ ભાગવું પડ્યું
મ્યાનમારમાં સુરક્ષા દળોની બળવાખોરી વિરોધી કાર્યવાહીથી બચવા માટે લગભગ 740,000 રોહિંગ્યા ભાગીને બાંગ્લાદેશ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી એટલે તેમણે ત્યાંથી પણ પલાયન કરવું પડ્યું હતું. ઈન્ડોનેશિયામાં પણ તેમનો વિરોધ વધી રહ્યો છે. બુધવારે વિદ્યાર્થીઓના ટોળાએ આસેહ પ્રાંતની રાજધાની બાંદા આસેહમાં એક સ્થાનિક કોમ્યુનિટી હોલ પર હુમલો કર્યો હતો જ્યાં 137 રોહિંગ્યાએ આશરો લીધો હતો.


