- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- આજથી સિરીઝની બીજી મેચ કેપટાઉનમાં રમાશે
- પ્રથમ મેચમાં ભારતનો ઈનિંગ અને 32 રને કારમો પરાજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ આજે એટલે કે બુધવારથી કેપટાઉનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચની ટોસ બપોરે 1.30 કલાકે થશે. ભારતની પ્રથમ મેચમાં હાર થતાં સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય ટીમ છેલ્લી મેચ જીતીને સિરીઝ ડ્રો કરવાનો પ્રયત્ન કરશે. તેથી ભારતીય ટીમની પ્લેઈંગ-11માં ફેરફાર જોવા મળી શકે છે.
ભારત સિરીઝની છેલ્લી અને બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. ભારતે કેપટાઉનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. જેમાં 4 મેચનાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 2 મેચ ડ્રો રહી હતી.
રોહિત શર્મા કોને કરશે બહાર?
જો રોહિત શર્મા બે સ્પિનરો સાથે જવાનું નક્કી કરે છે તો શાર્દુલ ઠાકુરને આ મેચમાંથી બહાર બેસવું પડી શકે છે. એટલે કે અશ્વિન અને જાડેજાની જોડી ન્યૂલેન્ડ્સમાં સાથે જોવા મળી શકે છે. પરંતુ જો રોહિત ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે જવાનું નક્કી કરે તો અશ્વિનને બહાર બેસવું પડશે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણા અને શુભમન ગિલ પર પણ તલવાર લટકી રહી છે.
યુવાનોને મળશે તક!
રોહિત શર્માએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે તે યુવા ખેલાડીઓનું સમર્થન કરવાનું ચાલુ રાખશે. તેણે પ્રસિદ્ધ કૃષ્ણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને કહ્યું કે તે આ ફોર્મેટમાં ચોક્કસપણે સફળ થશે અને તેની પાસે ક્ષમતા છે. યશસ્વી, અય્યર અને ગિલનું નામ લેતા તેણે કહ્યું કે આ એવા યુવા ખેલાડીઓ છે જે સાઉથ આફ્રિકાની પરિસ્થિતિઓમાં વધુ રમ્યા નથી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ ત્રણેય ખેલાડીઓએ હજુ સુકાનીનો વિશ્વાસ ગુમાવ્યો નથી. તેનો અર્થ એ કે, તમે કેપટાઉન ટેસ્ટના પ્લેઇંગ-11માં આ ચારેય ખેલાડી રમતા જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.


