- ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે વર્ષોથી ચાલતા ગજગ્રાહનો અંત
- જે ચા વિદ્યાપીઠની કેન્ટીનમાં રૂ.7માં મળતી તેનો કર્મ કાફેમાં ભાવ રૂ.50
- ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો
અમદાવાદ શહેરના આશ્રામરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે ઘણા સમયથી ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો હોવાની વિગતો સામે આવી છે. કારણ કે, ગૂજરાત વિદ્યાપીઠના નવા શાસકોએ વિદ્યાપીઠ પરિસરની કેન્ટીન પુનઃ શરૂ કરવાના બદલે તેને કાયમી તાળા મારી નવજીવનના કર્મકાફેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ચા-નાસ્તો કરવા જાય એ માટે બંધ કરેલો દ્વાર ખોલી નાખ્યો છે. વિદ્યાપીઠના નવા સત્તાધીશોના નિર્ણયથી હવે વિદ્યાપીઠ કેન્ટીનમાં રૂ.7ના ભાવે મળતી ‘ચા’ ના કર્મકાફેમાં રૂ.50 ચૂકવવા પડશે. ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને આટલી મોઘી ‘ચા’ અને નાસ્તો પરવડે નહી તે સ્વાભાવિક છે, માટે આશ્રામ રોડ પાર કરી બહારની કેન્ટીનમાં જે પ્રકારે છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ‘ચા’ પીવા જાય છે એ જ રીતે જવા મજબુર બનશે.
ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો. નવજીવન દ્વારા વિદ્યાપીઠને અપાયેલ નાણા પર પરત માગવામાં આવ્યાં હતા, જેમાં વિદ્યાપીઠ દ્વારા કેટલાક નાણા પરત પણ કરવામાં આવ્યાં હતા. આ વિવાદ એટલા હદે વધી ગયો હતો કે, વિદ્યાપીઠ અને નવજીવનને જાણે કઈ જ લેવા દેવા ન હોય તેવી સ્થિતિ આવી ગઈ હતી. પરંતુ વિદ્યાપીઠમાં નવા શાસકોનો પ્રવેશ થયા બાદ હવે વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચેની ખાય દૂર થઈ હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાપીઠ પરિસરમાં ચાલતી કેન્ટીન અચાનક જ ગત માર્ચ-2023માં બંધ કરાવી દેવામાં આવી હતી. દરમિયાન વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા એવી વાત ચલાવવામાં આવી હતી કે, અત્યારસુધી કેન્ટીનનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો તેમાં કોઈ ટેન્ડરીંગ પ્રક્રિયા કરાતી નહોતી, જેથી ટેન્ડર પ્રક્રિયાના આધારે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કેન્ટીન શરૂ કરવાના બદલે કાયમી તાળા વાગી જાય એ પ્રકારનો મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. બેઠકમાં લેવાયેલ નિર્ણયમાં સ્પષ્ટ લખ્યું છે કે, ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં કેન્ટીનની સુવિધા પુનઃ શરૂ કરવાની બાબતે પરિસરની બાજુમાં નવજીવનમાં કર્મકાફે તેમજ કેન્ટીન સુવિધા ઉપલબ્ધ બની શકે તેમ છે ત્યાં જવા માટે ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવનની સંયુક્ત દિવાલમાં દરવાજો મૂકવાથી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને મૂલાકાતીઓને સરળતાથી નાસ્તો અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, ગૂજરાત વિદ્યાપીઠમાં જે કેન્ટીન ચાલતી હતી એમા ચા-નાસ્તાનો જે ભાવ હતો એની સરખામણીએ કર્મકાફેમાં ચાર-પાંચ ગણો વધુ ભાવ વસુલવામાં આવી રહ્યો છે વિદ્યાપીઠની કેન્ટીનમાં રૂ.7માં ચા આપવામાં આવતી હતી એનો ભાવ કર્મકાફેમાં રૂ.50 છે જ્યારે નાસ્તામાં વિદ્યાપીઠમાં પૌઆનો ભાવ રૂ.15 હતો એના બદલે કર્મકાફેમાં રૂ.100, વાટીદાળ ખમણનો ભાવ કેન્ટીનમાં રૂ.20 જ્યારે કર્મકાફેમાં રૂ.100 વસુલવામાં આવે છે. ચા-નાસ્તાના ભાવની વિગતો કર્મકાફેના મેનુમાથી લેવામાં આવી છે.


