- અયોધ્યા રામમંદિરને લઇને ડાંગ જિલ્લામાં ઉત્સાહ
- માતા શબરીના વંશજો પહોંચશે અયોધ્યા
- બોર, ધનુષ-તીર લઇને જઇ રહ્યા છે અયોધ્યા
આપણે જાણીએ છીએ કે માતા સીતાને શોધવા શ્રી રામ અને લક્ષ્મણ વનમાં નીકળી પડ્યા હતા. તે સમય દરમિયાન તેઓ માતા સીતાને શોધતા શોધતા એક આશ્રમમાં આવી પહોંચ્યા. આ આશ્રમ માતંગ ઋષિનો આશ્રમ હતો. જ્યાં શબરી પ્રભુ શ્રી રામની કાગડોળે રાહ જોઇ રહી હતી. અહીં પ્રભુ રામના શબરી દર્શન કરી ધન્ય બની ગઇ. પ્રભુને ભોજન આપવા તે વનમાંથી બોર વીણી લાવી. શબરીએ બોર ખાટું તો નથી તે ચાખી ચાખીને પ્રભુ રામને ખવડાવ્યા. પ્રભુએ પણ શબરીના ચાખેલા બોર ખાધા હતા. ત્યારે શબરીના વંશજો આ ઐતિહાસિક ક્ષણને યાદ કરી રહ્યા છે.
રામાયણ કાળ સાથે જોડાયેલો આ જિલ્લો
ગુજરાતના ડાંગ જિલ્લામાં સુબીરમાં રહેતા શબરીના વંશજો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને એટલા જ ઉત્સાહી છે જેટલો આખો દેશ. તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બોર, ધનુષ, તીર કામઠા લઇને અયોધ્યા જઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ત્યાં 9 દિવસ ચાલનારા 1008 કુંડીય યજ્ઞમાં પણ ભાગ લેશે.
સુબીર ગામમાં ઉત્સાહનો માહોલ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. દરેક વ્યક્તિ આના સાક્ષી બનશે. દંડકારણ્ય તરીકે ઓળખાતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ગુજરાતનો ડાંગ જિલ્લો પણ આનો સાક્ષી બનશે. ભાવિ ભક્તોની શબરીધામમાં ઊંડી શ્રદ્ધા છે, જે લોકકથા પરથી વણાયેલી છે કે સીતાજીની શોધમાં જંગલમાં ભટકતા ભગવાન રામ અને લક્ષ્મણને માતા શબરીએ સુબીર પાસેના ચમકા ડુંગર નામના સ્થળે ભોજન કરાવ્યું હતું. તેઓને ભગવાનને બોર ખવડાવ્યા હતા.
પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં પહોંચશે અયોધ્યા
હવે જ્યારે રામ લલ્લા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે આ શુભ અવસર પર માતા શબરીના વંશજ સંજય ગાવિત, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અયોધ્યા પહોંચશે. બોર ધનુષ અને તીર અર્પણ કરશે. આ ઉપરાંત 9 દિવસ દરમિયાન યોજાનાર 1008 કુંડીય યજ્ઞોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીને માતા શબરીના વંશજો આનંદથી ભરાઈ ગયા છે.


