- બાપ્પાને પ્રિય છે મોતીચુરના લાડુ
- ચણાના લોટ, ઘી અને ખાંડથી બનશે ફટાફટ ભોગ
- મોદક સિવાય પણ ધરાવી શકાશે આ પ્રસાદ
દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ છે ત્યારે સૌ કોઈ બાપ્પાની સેવા પૂજામાં જોડાઈ ગયા છે. આ સમયે જો તમે પણ બાપ્પાને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે મોદક સિવાય ઘરે જ મોતીચુરના લાડુ બનાવી લો. બાપ્પાની પ્રિય ચીજોમાં મોતીચુરના લાડુનો સમાવેશ થાય છે. જો તમે સાચા મનથી આ ભોગ વિઘ્નહર્તા માટે બનાવો છો તો તેઓ તેમની કૃપા તમારા પર વરસાવશે અને તમને ફળની પ્રાપ્તિ થશે. તો જાણો કેવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવી શકાશે મોતીચુરના લાડુ.
સામગ્રી
-2 કપ ચણાનો લોટ
-3/4 કપ ખાંડ
-1/4 ચમચી ખાવાનો કેસરી રંગ
-2 કપ દેશી ઘી
-2 ચમચી પીસેલી બદામ
-1/2 ચમચી એલચી પાવડર
રીત
સૌપ્રથમ ચણાના લોટને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તેમાં કેસરી રંગ ઉમેરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બુંદી પાડવાના ઝારાની મદદથી બુંદી પાડી તળી લો. એક અલગ કઢાઈમાં બરાબર પ્રમાણમાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી તૈયાર કરો. તેમાં બુંદી અને બદામ તેમજ એલચી પાવડર નાંખો અને સારી રીતે મિક્સ કરો. યાદ રાખો, ચાસણી એટલી બધી ન હોય કે તેમાં બુંદી ડૂબી જાય. ચાશણી અને બુંદીનું મિશ્રણ ઘટ્ટ રહેવું જોઇએ જેથી લાડુ વાળી શકાય. હવે આ મિશ્રણ સામાન્ય ઠંડુ પડે એટલે તેમાંથી ઇચ્છો તેટલી નાની કે મોટી સાઇઝમાં લાડુ વાળી લો. તો તૈયાર છે તમારા મોતીચુરના લાડુ. આ ગણેશચતુર્થીના રોજ ગણપતિ બાપ્પાને તમારા હાથે બનાવેલા મોતીચુર લાડુ જમાડી ખુશ કરી દો.