– એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીઓમાં ક્રેડિટ કવોલિટી કથળવાનું જોખમ
Updated: Oct 5th, 2023
મુંબઈ : દેશની કંપનીઓના રેટિંગમાં ઘટાડા કરતા વધારાની સંખ્યા વધુ જોવા મળી રહી છે, પરંતુ મંદ નિકાસ દેશની કેટલીક કંપનીઓની ક્રેડિટ કવોલિટી પર દબાણ લાવી શકે છે.
ઘરઆંગણે મજબૂત માગ તથા સરકાર દ્વારા મૂડી ખર્ચમાં વધારાને પરિણામે રેટિંગમાં ઘટાડો કરાયો હોય તેના કરતા વધારો કરાયો હોય તેવી કંપનીની સંખ્યા હાલમાં વધુ જોવા મળી રહી છે.
ટેકસટાઈલ તથા ડાયમન્ડસ જેવા નિકાસ લક્ષી ક્ષેત્રોમાં કામકાજ મારફતના કેશ ફલોમાં અવરોધ જોવા મળવાની સંભાવના હોવાનું રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા જણાવાયું હતું.
આ ઉપરાંત પૂરવઠા બાજુના ભરાવાની સમશ્યાનો સામનો કરતા કોમોડિટી સાથે સંકળાયેલા ક્ષેત્રો જેમ કે એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં ક્રેડિટ કવોલિટી કથળવાનું જોખમ રહેલું છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં કુલ ૪૪૩ કંપનીઓને અપગ્રેડસ કરાઈ છે અને ૨૩૨ને ડાઉનગ્રેડસ કરવામાં આવી છે.
ઘરઆંગણેની માગ તથા સરકારી ખર્ચમાં વધારાને કારણે જે ક્ષેત્રોને વધુ લાભ જોવા મળી રહ્યો છે તે ક્ષેત્રની કંપનીઓના કેશ ફલોમાં વર્તમાન નાણાં વર્ષમાં વધારો થવાની અપેક્ષાએ અપગ્રેડની માત્રા ઊંચી રહી હોવાનું પણ ક્રિસિલ દ્વારા જણાવાયું છે.