- નવસારીના ગ્રામ્ય વિસ્તારના શિક્ષક સાથે પોલિસી બંધ કરવાના બહાને ઠગાઈ
- રેલવેના ટોલ નંબર પર ફોન કર્યો તો રેલવેકર્મીની ઓળખ આપી ગઠિયો કળા કરી ગયો
- ફેબ્રુઆરી 2022માં મથુરા જવા માટે કુટુંબના 37 સભ્યોની આવવા જવાની રેલવેની ટિકિટ બુક કરાવી હતી
ટ્રેનની ટિકિટ કેન્સલેશનની રકમ મેળવવા માટે પ્રયત્નો કરી રહેલાં ગોધરાની ટાઉન પ્લાનિંગ કચેરીના નિવૃત્ત કર્મચારીને રેલવેની બનાવટી લિંક મોકલીને બેંક એકાઉન્ટમાંથી રૂ.1.18 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરનારા ભેજાબાજો સામે સાઇબર સેલમાં ગુનો નોંધાયો છે.
શહેરના અલકાપુરી સોસાયટીમાં સ્પેન્સર કોર્ટ-3માં રહેતા ભદ્રેશકુમાર વિઠ્ઠલદાસ મહેતા (ઉ.વ.66) ગોધરા ટાઉન પ્લાનિંગ ઓફિસમાંથી સને 2015માં નિવૃત્ત થયા હતા. તેઓ પરિવાર સાથે રહે છે. ફેબ્રુઆરી 2022માં મથુરા જવા માટે કુટુંબના 37 સભ્યોની આવવા જવાની રેલવેની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ પ્રવાસ પહેલાં કુટુંબના એક સભ્યનું અવસાન થતા પ્રવાસ પડતો મુક્યો હતો. રેલવેની ટિકિટ કેન્સલ કરાવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આવવાની ટિકિટ કેન્સલ થઈ હતી. પરંતુ જવાની ટિકિટ કેન્સલ થઈ નહોતી. ઓળખીતાના માધ્યમથી રેલવેના ટોલ નંબર ઉપર ફોન કર્યો હતો. આ ફોન કટ થઈ ગયો હતો. સામેથી ફોન આવ્યો હતો તે વ્યકિતએ રેલવેના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને રેલવેની એક લિંક મોકલી હતી. જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે તે બેંકના એકાઉન્ટની ડિટેઈલ મેળવી હતી. ટિકિટ કેન્સલેશનનું રિફંડ તો ના મળ્યું પણ થોડીક જ વારમાં 3 ટ્રાન્જેકશનમાં એકાઉન્ટમાંથી રૂ.1.18 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ચુકયા હતા. સાઇબર સેલના ટોલ ફરી નંબર ઉપર જાણ કરી હતી. આમ છતાં પૈસા પરત નહીં મળતા તેમણે ફરિયાદ નોંધાવી છે.
મેઈન-પાણીખડકના શિક્ષકે ઈન્સ્યોરન્સ પોલિસી બંધ કરાવવાના ચક્કરમાં રૂ.2.09 લાખ ગુમાવ્યા
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે રહેતા શિક્ષકે પોતાની ઇન્સ્યોરન્સ પોલિસી બંધ કરાવવા માગતા હતા પરંતુ ભેજાબાજોએ તેમની પાસેથી સોશિયલ મીડિયાની મદદથી જુદીજુદી પેનલ્ટીના નામે રૂ.2.09 લાખ પડાવી લીધા હતા. પોતે સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાનું જાણતા નવસારી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બેંક ઓફ બરોડાના તેમજ એચ.ડી.એફ.સી. બેંક ખાતાધારકો વિવેક અરોડા, રવિ મલ્હોત્રા, અવિનાશ જૈન સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.


