- રૂ.220 કરોડના ગેટેડ વિયરથી 8 ગામોની જમીન રિચાર્જ થવાનો દાવો
- બીજો વિયર ધરોઈ ડેમથી ડાઉનસ્ટ્રીમમાં ફતેપુરા ગામે 255 કરોડમાં તૈયાર થશે
- મહી નદી ઉપર પોઈચા ગામે 413 કરોડના ખર્ચે વિયર બનશે
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વતન ગાંધીનગર જિલ્લાના માણસા નજીક માધવગઢ ઉર્ફ આંબોડ ગામે તથા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ફતેપુરા ગામે સાબરમતી નદીમાં વિયર યાને નાના ડેમ બનાવવા ટેન્ડર બહાર પડાયા છે. મોટાભાગે બે મહિનામાં ખાનગી કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર સોંપી એપ્રિલ-2024થી આ બંને કોંક્રિટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે.
કેન્દ્રીય મંત્રીના વતન પાસે આંબોડમાં સાબરમતી ઉપર 230 મીટર લંબાઈમાં 8 મીટર ઊંચો વિયર રૂ.220 કરોડના ખર્ચે બનશે, જેના કારણે આસપાસના 8 ગામોના ભૂગર્ભ જળ રિચાર્જ થવાનો દાવો કરાઈ રહ્યો છે. એવી જ રીતે ધરોઈ ડેમના ડાઉનસ્ટ્રીમમાં લગભગ 4 કિલોમીટર દૂર ફતેપુરા ગામે સાબરમતીમાં 372 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો વિયર રૂ.255 કરોડમાં તૈયાર થશે, જેના લીધે આસપાસના 4 ગામોના ભૂગર્ભ તળ ઊંચા આવશે એવો દાવો કરતાં સૂત્રો કહે છે કે, ફતેપુરાના પ્રોજેક્ટથી મોટો ફાયદો એ થશે કે, ભવિષ્યમાં ધરોઈ ડેમથી ફતેપુરા સુધીના 4 કિલોમીટરના ઊભા પટ્ટામાં બંને તરફ રિવરફ્રન્ટનું નિર્માણ થઈ શકશે, આમ પણ ધરોઈ ડેમને આવરીને મનોરંજન માટે મોટું આયોજન અત્યારે આકાર લઈ રહ્યું છે.
સૂત્રો કહે છે કે, સાબરમતી નદી ઉપરની આ બંને યોજનાઓમાં વાસણા બેરેજની માફક ગેટ મૂકવામાં આવશે, જેથી સંચાલન થઈ શકે. આ બંને પ્રોજેક્ટથી આશરે કુલ 6 હજાર હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ થવાની ગણતરી છે. સાબરમતી નદી ઉપર કુલ પાંચ વિયર બાંધવાની યોજનાના ભાગરૂપ ઉક્ત બે વિયર છે. આ અગાઉ સાબરમતી નદી ઉપર અમદાવાદમાં વાસણા બેરેજ, ગાંધીનગરમાં ઈન્દ્રોડા ગામે સંતસરોવર બેરેજ બાંધવામાં આવ્યા છે, જ્યારે મહેસાણાના વિજાપુર તાલુકાના વલાસણા ખાતે વિયર ગયા વર્ષે બંધાયો છે અને હાલ મહેસાણાના હીરપુરા ગામે વિયરની યોજના પ્રગતિમાં છે, તેમ પણ સૂત્રોએ જાણકારી આપી હતી.
મહી નદી ઉપર પોઈચા ગામે 413 કરોડના ખર્ચે વિયર બનશે
મહી નદી ઉપર પણ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામે 550 મીટર લંબાઈમાં ગેટ વગરનો વિયર રૂ.413 કરોડના ખર્ચે બાંધવા ટેન્ડર બહાર પડયું છે, આનું કાર્ય પણ એપ્રિલ-2024થી શરૂ કરી 36 મહિનામાં પૂર્ણ કરવાનો તંત્રનો ઈરાદો છે. આ પ્રોજેક્ટથી સાવલી તાલુકાના 34 ગામોની તથા ઉમરેઠ તાલુકાના 15 ગામોની અંદાજે 12 હજાર હેક્ટર જમીન રિચાર્જ થવાનો દાવો કરાઈ રહ્યો છે


