ATMમાંથી નિકળેલી ફાટેલી નોટ બદલી ન આપે તો જે-તે બેંકને દંડની પણ જોગવાઈ
ફાટેલી નોટોને લઈને રિઝર્વ બેંક અવાર-નવાર પરિપત્ર બહાર પાડતી રહે છે
Updated: Oct 5th, 2023
ATM Damage Currency Exchange: આજકાલના સમયમાં બધાને નાણાની જરૂરિયાત હોય જ છે. એમાં પણ ક્યારે અને ક્યાં મોટી રકમની જરૂર પડી જાય તે નક્કી નથી હોતું આથી લોકો પોતાની સાથે ATM કાર્ડ રાખવાનું પસંદ કરે છે. જેના કારણે નાણા ઉપાડવા કે જમા કરવા માટે વારંવાર બેન્કે જવાની જરૂર ન પડે. આ માટે બેન્ક દ્વારા થોડા થોડા અંતરે ATM મશીનની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ ATMમાંથી નાણાં નિકાળતી વખતે ઘણીવાર ફાટેલી નોટ બહાર આવે છે અને આવી નોટો જોઈ નાણાં ઉપાડનાર નિરાશ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે, હવે આ નોટનું શું થશે ? જોકે આ બાબતથી ગભરાવવાની જરૂર નથી. જો તમારી પાસે ફાટેલી નોટ છે તો તમે સરળતાથી બેંકમાં જઈ આવી નોટો બદલાવી શકો છે અને નોટો બદલવાનો કોઈ ચાર્જ પણ લાગતો નથી.
ફાટેલી નોટો માટે પણ RBIએ બનાવ્યો છે નિયમ
ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા આવી ફાટેલી નોટોને બદલી આપવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે. જે મુજબ બેન્ક ATM માંથી નીકળેલી ફાટેલી નોટને બદલવા આપવા માટે ઇન્કાર ન કરી શકે. આ ફાટેલી નોટને બદલી આપવા માટે બેન્ક કોઈ પણ પ્રકારના ચાર્જ વસુલી શકે નહિ.
જો બેન્ક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો થઇ શકે દંડ
એક પરિપત્ર મુજબ જો બેન્ક આવી ફાટેલી નોટને બદલવાની ના પાડે છે તો બેન્કને રૂ.10,000 સુધીનો દંડ પણ થઇ શકે છે. પરિપત્ર પ્રમાણે ATM માંથી નીકળી ફાટેલી, તૂટેલી કે નકલી નોટ સુધીની જવાબદારી બેન્કની હોય છે.
એક વખતમાં બદલી શકાય છે આટલી નોટ
રીઝર્વ બેન્કના નિયમ અનુસાર જો ATM થી નીકળતી નોટોમાં કોઈપણ ખામી હોય તો તેની તપાસ બેન્ક તરફથી કરાવવામાં આવવી જોઈએ. RBI દ્વારા ફાટેલી નોટને બદલવા માટે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવે છે. તે રીપોર્ટ અનુસાર એક વખતમાં એક વ્યક્તિ માત્ર 20 નોટ જ બદલી શકે છે. જેની મુલ્ય 5 હજાર રૂપિયાથી વધુ ન હોવું જોઈએ. તેમજ બળેલી નોટ કે ટુકડાઓ થયેલી નોટને બેન્ક દ્વારા બદલી આપવામાં આવતી નથી.