- આજના દિવસમાં 22 ડિલિવરી કરવામાં આવશે
- શહેરમાં વહેલી સવારથી ચાર બાળકોની ડિલિવરી થઇ
- બાળકોના જન્મ થતા પરિવારના લોકોમાં ખુશી
અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. જેમાં સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે શહેરની ડાયમંડ હોસ્પિટલમાં રામ અને સીતાનો જન્મ થયો છે. જેમાં વહેલી સવારથી ચાર બાળકોની ડિલિવરી કરવામાં આવી છે. જેમાં બાળકોના જન્મ થતા પરિવારના લોકોમાં ખુશી છે.
બાળકનું નામ પરિવાર દ્વારા રામ રાખવામાં આવ્યું
બાળકનું નામ પરિવાર દ્વારા રામ રાખવામાં આવ્યું છે. તથા બાળકી થતા પરિવારે બાળકીનું સીતા નામ રાખ્યું છે. હોસ્પિટલમાં આજના દિવસમાં 22 ડિલિવરી કરવામાં આવશે. આજે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ભારત ભક્તિમય બન્યુ છે. ત્યારે આજના દિવસે ગુજરાતમાં 1000થી વધુ બાળકોનો જન્મ મુહુર્ત ડિલિવરીથી કરવામાં આવશે તેવું શહેરના ગાયનેકોલોજિસ્ટ માની રહ્યા છે. એટલે કે 22 જાન્યુઆરીએ પોતાના બાળકનો જન્મ થાય તે માટે ગર્ભવતી મહિલાઓ સિઝેરિયન કરાવી શુભ મુહુર્તમાં બાળકને જન્મ આપશે.
નોર્મલ ડિલિવરી શક્ય ન હોય તેવી જ મહિલાઓને મુહુર્ત ડિલિવરીની મંજૂરી
રામ લલ્લાની અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ હિન્દુ ધર્મમાં વર્ષો સુધી લોકો 22 જાન્યુઆરી 2024 ના દિવસને યાદ રાખશે અને આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો છે ત્યારે ગુજરાતમાં આ દિવસે પ્લાન ડિલિવરી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેને લઇને વિવિધ મેટરનીટી હોસ્પિટલોમાં 22 જાન્યુઆરીએ સિઝેરિયન થકી ડિલિવરી કરવા માટેના બુકિંગનો ધસારો જોવા મળતા ગાયનેક ડોક્ટરો દ્વિધામાં મુકાયા છે. અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં સુરતની હોસ્પિટલમાં આજના દિવસમાં 22 ડિલિવરી કરવામાં આવશે.


