- અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ખેરાલુમાં તંગદિલી સર્જાઈ
- 2 મહિલા સહિત 8થી વધુ શખ્સોએ પથ્થરમારો કર્યો
- ટિયર ગેસના સેલ છોડાયા
ખેરાલુમાં રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ ગઈ હતી. શોભાયાત્રા શહેરના સંવેદનશીલ એવા હાટડીયા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. બે મહિલાઓ સહિત 8 થી વધુ શખ્સો મકાનની છત પરથી પથ્થર મારો કરતા વીડિયોમાં કેદ થયા હતા. પથ્થરમારાને કારણે યાત્રામાં સામેલ કેટલાક રામ ભક્તો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ખેરાલુ સહિત જિલ્લા પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પથ્થરમારો કરી કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા શખ્સોને ઝડપી પાડવા કોમ્બિનગ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના બાદ સમગ્ર ખેરાલુમાં હાલમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન હાટડીયા વિસ્તારમાં પથ્થરમારો થતા યાત્રામાં નાસભાગ મચી હતી. યાત્રામાં ટ્રેક્ટરમાં સવાર ભજન મંડળી અને ગરબા રાસ કરતી મહિલાઓ પણ ભયભીત બની ટ્રેકટરમાંથી નીચે ઉતરી ભાગી હતી. ટ્રેકટર સ્થળ પર મૂકી ચાલક પોતાનો જીવ બચાવવા ભાગી જતા કેટલાક શખ્સોએ ટ્રેક્ટરના ટાયરોની હવા કાઢી નાખી હતી. તો મોપેડ અને રિક્ષા પલ્ટી નાખી વાહનોને નુકસાન પહોચાડયું હતું.


