- પોરબંદરમાં બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા
- કોંગ્રેસના ધારાસભ્ય રામમંદિર મુદ્દે રાજકરણ નહીં કરે
- ભાજપ સાંસદ સાથે ભાગવત કથામાં પણ પહોંચ્યાં
પોરબંદરમાં બજરંગ દળ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ જોડાયા હતાં. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે બંજરંગ દળ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોવાં મળ્યાં હતાં. જેને લઈને અનેક તર્ક વિતર્કો કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ થોડા દિવસ પહેલાં રામ મંદિર મુદ્દે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે ભગવાન રામ મંદિર મુદ્દે રાજકારણ નહીં કરે. તેમજ ગઈકાલે રાજકોટ ખાતે ભાજપ સાંસદ રામ મોકરિયા દ્વારા આયોજિત ભાગવત કથામાં પણ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોવા મળ્યાં હતાં. આજે બજરંગ દળની શોભાયાત્રામાં અર્જુન મોઢવાડિયા જોવામાં આવતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
કોંગ્રેસ ધારાસભ્ય શોભાયાત્રામાં
એક તરફ કોંગ્રેસ તરફથી રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ રામ મંદિરને ભાજપનું રાજકારણ ગણાવી રહ્યાં છે અને રામ મંદિરને ભાજપની પાર્ટીનો કાર્યક્રમ ગણી ગણાવી રહ્યાં છે તો બીજી તરફ રામ મંદિરને લઈને કોંગ્રેસમાં જ અસમંજસ જોવા મળી રહી છે, કેટલાંક નેતાઓ રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર કરી રહ્યાં છે તો કેટલાંક નેતાઓ રામ મંદિરના આમંત્રણનો નનૈયો ભણી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળના દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાયાં છે.
અયોધ્યા રામ મંદિરની શોભાયાત્રા
વર્ષો બાદ હિન્દુઓ માટે આવતીકાલનો દિવસ અનેરો છે. પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે. જેમાં અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર રહેવાની છે. ત્યારે અયોધ્યામા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામલાલાને વધાવવા માટે આજે પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપ્યું
મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો છે. અને સી. જે. ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને તેમનું રાજીનામું સોંપી દીધું છે. અને હવે સી. જે. ચાવડા તેમના 5000 કાર્યકરોને લઈને ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચાર છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં એક પછી એક ગાબડાં પડી રહ્યાં છે. હવે, શોભાયાત્રામાં ધારાસભ્યની હાજરીથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


