પજુસણનો સાચો શબ્દ છે પર્યુષણા મહાપર્વ. પર્યુષણનો વ્યાકરણ પ્રમાણે અર્થ થાય છે આત્મામાં રહેવું. આત્માની બહાર જઈને રહેવું એટલે જડ પદાર્થોમાં આપણા મનને લઈ જવું. ખાવા-પીવાનું કે મોજમજા કરવી એટલે આત્મામાંથી બહાર નીકળવાની વાત આવે, જ્યારે ખાવા વગેરે બાહ્ય પ્રવૃત્તિમાંથી બહાર નીકળવાનું અને માત્ર આત્મામાં રહેવાનું કેવી રીતે થઈ શકે? ઉપવાસ કરીને. ઉપવાસ કરવામાં આપણે કોઈ બહારની અપેક્ષા રાખવાની નથી. રાખવાની જરૂર પણ રહેતી નથી. આજે શું રસોઈ બનાવી છે? આવું પૂછવાની જરૂર ત્યારે જ પડે જ્યારે આપણે ભોજનની જરૂર હોય. ઉપવાસમાં તો આવી અપેક્ષા જ રાખવાની નહીં. મારે તો મારા આત્માને પુષ્ટ બનાવવો છે અને આત્માને પુષ્ટ બનાવવા માટે એને આધ્યાત્મિક ખોરાક પૂરો પાડવાનો હોય.
બીજા નંબરમાં આત્માને પુષ્ટ બનાવવા માટે હિંસાનો ત્યાગ કરવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો. કોઈ પણ નાના કે મોટા જીવને ક્લેશ પહોંચાડવો નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી આદેશ કરે છે કે કોઈ જીવને આવવા જવાનો માર્ગ હોય અને ત્યાં કોઈ સાધક બેઠેલા હોય અને સાધના કરતા હોય તો સાધકે પહેલાં જીવનો માર્ગ કરી આપવો જોઈએ પણ એ જીવને ખસેડવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, કારણ કે એમાં એને ત્રાસ-ક્લેશ થાય છે.
કોઈ પણ જીવનો પ્રાણનાશ કરવો એ જ હિંસા છે એવું નથી, પણ એને માનસિક ત્રાસ આપવો એ પણ હિંસા છે. આવી સૂક્ષ્મ વાત ભગવાન મહાવીરે કરી છે. જગત જો આવું અહિંસક બની જાય તો સમાજમાં કોઈ પણ વ્યક્તિને એકબીજા માટે અસદ્ભાવ રહે નહીં. સતત સર્વના માટેનો સદ્ભાવ હોય ત્યારે અંતર શાંતિથી ઉભરાય અને આનંદની છોળો ઉછળે.
જીવન સાત્ત્વિક હોય ત્યારે એના વિચારો ઊંચા જ રહેવાના. ઊંચા વિચારોવાળા બીજાને દુઃખ આપીને પોતાના સુખનો વિચાર કરવાવાળા ન હોય એ તો પોતાના કષ્ટની પરવા કર્યા સિવાય બીજાના સુખ માટે જ પ્રયત્નશીલ હોય. આવા માણસને અસત્યનો સાથ લેવાની જરૂર જ ન પડે. એની જીભ પણ સત્યને જ સાથ આપવાવાળી હોય.
આ પજુસણના દિવસોમાં કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું હોય છે. જેની રચના ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી છે. જે શ્રુતકેવલી હતા. એટલે કે એમની પાસે કોઈ પણ વસ્તુનો બોધ ન હોય એવું ન બને. પજુસણ મહાપર્વના દિવસો આવી રહ્યા છે. જીવનને શાંત અને પ્રશાંત બનાવવાના આ દિવસો છે. આખા વર્ષ દરમિયાન આપણે ક્યારેય પણ કોઈના પ્રત્યે અસદ્ વ્યવહાર કરેલો હોય, થઈ ગયો હોય તો એની ક્ષમા માગીને આપણે શુદ્ધ થવાનું. સામેનો માણસ આપણને ક્ષમા આપે તો સારું પણ કદાચ ન આપે તો પણ આપણે તો સાચા હૃદયથી ક્ષમા માગીને શુદ્ધ બની શકીએ.
પજુસણમાં સિદ્ધિ તપ નામની એક આરાધના છે. એમાં એક ઉપવાસ કરીને બીજા દિવસે માત્ર બેય ટાઈમ ખાવાનું પછી બે ઉપવાસ કરવાના એક દિવસ બે ટાઈમ ખાવાનું પછી ત્રણ ઉપવાસ આમ આઠ ઉપવાસ સુધી કરવાનું અને આઠમા ઉપવાસ પછી બે ટાઈમ ખાવાનું એટલે આ સિદ્ધિ તપ પૂરાં થાય.