- બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના ચાલતા આંતરરાજ્ય રેકેટનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચા
- બેંકના કર્મીઓ પાસેથી 20 લાખથી વધુ ટ્રાન્ઝેક્શનના ખાતાની વિગતો લીધા બાદ કાવતરું ઘડાય છે
- પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા
બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ લાખો રૂપિયા પડાવીને બેંક ખાતું અન ફ્રીઝ કરવાના આંતરરાજ્ય રેકેટનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ કોર્ટમાં અરજી કરવાથી ખૂલતા હોવાની કાયદેસરની પ્રોસિજર હોવા છતાં પણ એકાઉન્ટ ધારક પોલીસને ડાયરેક્ટ મળીને વ્યવહાર કરે તો તેનું એકાઉન્ટ પોલીસ દ્વારા જ અન ફ્રીઝ કરી દેવાતું હોવાના અનેક દાખલા છે. આ આંતરરાજ્ય કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો અનેક પોલીસ અધિકારીઓની સંડોવણી અને મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે. દેશના જુદા જુદા રાજ્યોના સાઇબર સેલના અમુક અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહીને તેઓના રાજ્યોના શંકાસ્પદ બેંક ખાતાની વિગતોની આપ લે કરી એકાઉન્ટ ફ્રીઝ કરવાની ગેરકાયદે મોડસ ઓપરેન્ડી અપનાવી પૈસા પડાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ આ આંતરરાજ્ય કૌભાંડનો અનેક એકાઉન્ટધારકો ભોગ બન્યાની ચર્ચાએ શરૂ થઈ છે. જોકે, જે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા તેમાંથી મોટા ભાગના લોકો જુગારની પ્રવૃત્તિ કે અન્ય બેનંબરી ધંધામાં સંડોવાયેલા હોવાથી આ મામલે કોઈ કાર્યવાહી કરવા તૈયાર હોતા નથી. જેનો લાભ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ ઉઠાવીને કાર્યવાહી કરવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન કર્યું છે.
જુનાગઢ જિલ્લા પોલીસના બે પીઆઈ અને એએસઆઈ દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા ઇનપૂટ ઊભા કરીને કેરળના કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયું હતું. અરજદાર રૂબરૂ પોલીસ પાસે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે પહોંચ્યા ત્યારે
સાઇબર સેલના અધિકારીએ તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માગણી કરતા મામલો ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો હતો. જેના પગલે સમગ્ર મામલે જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડિયાએ ગુનો દાખલ કરવા માટે સૂચના આપતા ખુદ પોલીસે ફરિયાદી બની માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ, પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ડીજીપી વિકાસ સહાયે કેસની તપાસ એટીએસને સોંપી હતી. આ પ્રકરણ બહાર આવ્યા બાદ તોડનું રેકેટ કઈ રીતે ચાલી રહ્યું છે તેની ચર્ચાએ જોર પકડયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દેશના જુદા જુદા રાજ્યોના સાઇબર સેલના અધિકારીઓ, બેંકના કર્મચારીઓના મેળાપીપણાંથી સમગ્ર રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ભ્રષ્ટ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બેંકના કર્મચારીઓને અમુક રકમ આપીને તેઓ પાસેથી વીસ લાખથી વધુના ટ્રાન્ઝેક્શનવાળા શંકાસ્પદ બેંક ખાતાની વિગતો મેળવે છે. આ વિગતો લીધા બાદ અન્ય રાજ્યના સાઇબર સેલના અધિકારીને વિગતો મોકલે સામે છેડે અન્ય રાજ્યોના અધિકારી ગુજરાતના અમુક પોલીસ અધિકારીને તેઓના ત્યાં શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો આપે છે.
આ રીતે બેંક એકાઉન્ટની આપલે થયા બાદ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં તેઓના મળતિયા માણસ દ્વારા અમુક રકમ મામુલી રકમ જમા કરાવવામાં આવે પછી તે જ વ્યક્તિ સાઇબર સેલમાં તેના પૈસા ખોટી રીતે આ એકાઉન્ટમાં જતા રહ્યાની અરજી કરે છે. આ અરજીના આધારે જે તે રાજ્યની બેંકમાં સાઇબર સેલના અધિકારી જાણ કરી એકાઉન્ટને ફ્રીઝ કરાવી દે છે. એકાઉન્ટધારકને તેનું ખાતું ગુજરાત પોલીસે ફ્રીઝ કર્યાની વિગત મળતા જ તે પોલીસનો સંપર્ક કરે છે. આ બેંક એકાઉન્ટ અન ફ્રીઝ કરવા માટે પોલીસ અરજદારને બોલાવીને અટપટા સવાલો પૂછીને પહેલા ડર પેદા કરે છે. ઈડી, ઈન્કમટેક્સને જાણ કરવાની ધમકી આપ્યા બાદ પૈસાની માંગણી શરૂ થાય છે. વીસ લાખ સુધીના ટ્રાન્ઝેક્શન થયા હોય તેવા ખાતાધારક પાસેથી ત્રણથી ચાર લાખ લઈ એકાઉન્ટ પોલીસ અન ફ્રીઝ કરી આપે છે. જો ખાતામાં 20 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોય તો ટકાવારી પર ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પૈસા માગે છે. જૂનાગઢ પોલીસે કરેલી ફરિયાદમાં અગાઉ કેટલાક લોકો એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે વીસ-વીસ લાખ આપી ગયાનો ઉલ્લેખ છે. આમ આ રીતે તોડકાંડનું આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ખાસ કરી ક્રિકેટ સટ્ટા એપ, શેર ડબ્બા ટ્રેડિંગ એપ, ગેમ્બલિંગ એપ ચલાવતા બૂકીઓ અને તેમની સાથે સંકળાયેલા લોકોના તેમજ બેનંબરી ધંધાવાળાના બેંક ખાતાની વિગતો પોલીસ મેળવે છે. આવા તત્ત્વોનો એકાઉન્ટ ફ્રીઝ કરીને પૈસા પડાવતા પોલીસ અધિકારી કે કર્મચારી સામે તેઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી.
SMCની ફ્રીઝ કરેલા બેંક ખાતા અનફ્રીઝ કરવાની પરફેક્ટ કામગીરી
માધુપુરા ક્રિકેટ સટ્ટા અને શેર ડબ્બા ટ્રેડિંગના કાળાં નાણાંની હેરાફેરી થતી હોય તેવા બેંક એકાઉન્ટો શોધી કાઢી પીસીબીએ ગુનો દાખલ કર્યો હતો. આ મામલે આક્ષેપો થતા ડીજીપી વિકાસ સહાયે તપાસ એસઆઇટી પાસેથી લઈને એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ને સોંપી હતી. એસએમસીએ તપાસનો દોર સંભાળતા ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ધારકોના નિવેદન લીધા અનેક ધારકોના બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે એસએમસીએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જુગારની રકમનો આંકડો આપી તે રકમ ફ્રીઝ રાખી બાકીની રકમ અનફ્રીઝ કરવામાં આવે તો અમને વાંધો નથી. આ રીતે અનેક ખાતા ધારકોના બેંક ખાતા કોર્ટમાં અરજી કરીને અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યની અનેક સાઇબર સેલ કચેરીઓમાં પોલીસ દ્વારા બારોબાર બેંક ખાતા કોર્ટના ધ્યાન પર લાવ્યા વગર અનફ્રીઝ કરી દેવામાં આવે છે. આ રીતે અનફ્રીઝ થતા બેંક ખાતામાં પોલીસ દ્વારા ખાતા ધારક પાસેથી ટકાવારીમાં પૈસા પડાવવામાં આવે છે.


