- અભ્યાસ- રોજગારની શોધમાં વિદેશમાં હાડમારી
- વિદેશમાં 400થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના
- કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે
ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત વિદેશમાં રહેતાં 403 ભારતીય વિદ્યાર્થીઓના છેલ્લા ત્રણ વર્ષમાં મોત થયાં છે. વિદેશમાં અભ્યાસ કે રોજગાર માટે સ્થાયી થયેલા ભારતીયોને કટોકટીગ્રસ્ત સ્થિતિમાંથી બહાર કાઢી સ્વદેશ પરત લવાયા છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,546 ગુજરાતીઓને વિદેશથી સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. કેરળ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ બાદ ચોથા ક્રમે સૌથી વધુ ગુજરાતીઓને સ્વદેશ પરત લવાયા છે. આમાં યૂક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું એ વખતની તંગદિલી સહિતની વિવિધ ઘટનાઓ સામેલ છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
યૂક્રેન-રશિયા વચ્ચે તંગદિલી સર્જાઈ ત્યારે પણ મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેનથી પરત લાવવામાં આવ્યા હતા, એ વખતે ફ્લાઈટના ભાવ આસમાને પહોંચ્યા હતા, એરલાઈન્સ કંપનીઓએ રીતસર લૂંટ મચાવી હતી, સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ બરફવર્ષા વચ્ચે ખુલ્લામાં આખી રાત વીતાવી હતી, ગુજરાતી વિદ્યાર્થીઓ એ વખતે માંડ બોર્ડર ક્રોસ કરી રોમાનિયા પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો, ધક્કામુક્કી અરાજકતાની સ્થિતિમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, છેલ્લા ત્રણ વર્ષના અરસામાં 23,906 ભારતીયોને સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢીને, વિદેશથી સ્વદેશ પરત લાવવા પડયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવી છે, જેમાં ઓસ્ટ્રેલિયામાં 35, કેનેડામાં 91, યુકેમાં 48, યુએસએ 36, જર્મનીમાં 20 અને કતારમાં 9 ભારતીયોના મોતની ઘટના સામે આવી છે.


