- 265માંથી 257 બેઠકો માટે ચૂંટણી પરિણામો જાહેર
- પીએમએલએનને વધુ 73 અને 2 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મળ્યું
- ચૂંટણી પંચ 2 વિસ્તારના 25 મતદાન મથકો પર પુન: મતદાન કરાવશે
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 265માંથી 257 બેઠકો માટે ચૂંટણી પરિણામો આવી ગયા છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 102 બેઠકો જીતી છે. નવાઝ શરીફની પીએમએલએનને વધુ 73 અને 2 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મળ્યું છે. બિલાવલ ભુટ્ટો ઝરદારની પીપીપીએ 54 બેઠકો જીતી છે. દરમિયાન, મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેટલીક બેઠકો પર પુનઃ મતદાન યોજાશે. જાણો ચૂંટણી પંચે અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?
હિંસક અથડામણ અને હેરાફેરીના કારણે લેવાયો નિર્ણય
મળી રહેલી માહિતિ અનુસાર ચૂંટણી પંચે એનએ-88 ખુશાબ-2 (પંજાબ), પીએસ-18 ઘોટકી-1 (સિંધ), પીકે-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા)માં ફરીથી મતદાનની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરીએ મતદાન થશે. ફરીથી મતદાન યોજવાનો નિર્ણય પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો હતો કારણ કે 8 ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન આ ત્રણ સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. બંને ઉમેદવારો અને મતદારો દ્વારા ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મતદાનની સામગ્રી છીનવીને તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી, આ આરોપોની જાતે જાણકારી લઈને ચૂંટણી પંચે ત્રણેય વિસ્તારોમાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો, જેથી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ન થાય.
આ વિસ્તારોમાં ફરી મતદાન થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદીય મતવિસ્તાર NA-88 ખુશાબ-2 (પંજાબ)માં મતદાન દરમિયાન ભીડના ગુસ્સે થવાના સમાચાર છે. મતદાન સામગ્રી પણ બળી ગઈ હતી, જો કે હવે મામલો શાંત થઈ ગયો છે, પરંતુ ચૂંટણીપંચ આ વિસ્તારના 25 મતદાન મથકો પર ફરીથી મતદાન કરશે. પીએસ-18 ઘોટકી-1 (સિંધ) સંસદીય મતવિસ્તારમાં 8 ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન મતદાનની સામગ્રી છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી ચૂંટણી પંચે આ વિસ્તારના 2 મતદાન મથકો પર પુન: મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. PK-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા) માં મતદાન દરમિયાન આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું. તેથી, ચૂંટણી પંચ આ વિસ્તારના 25 મતદાન મથકો પર પુન: મતદાન હાથ ધરશે.


