- પાકિસ્તાનની રાજકીય પાર્ટીઓને તણાવ વધે તેવું કશું નહીં કરવા યુએનના મહાસચિવની અપીલ
- ઇમરાન ખાનની પાર્ટી પર ગેરરીતિના આરોપ
- પાકિસ્તાનમાં કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો
પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીઓનાં પરિણામો આવી ગયાં છે, પણ હજુ પણ પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ છે. હકીકતમાં, પીટીઆઇ સહિત ઘણી પાર્ટીઓ આરોપ કરી રહી છે કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે અને તે બાબતે કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ પાકિસ્તાનની સ્થિતિ પર નજીકથી ધ્યાન આપી રહ્યા છે. તેમણે પાકિસ્તાનની ઓથોરિટી અને રાજનેતાઓને અપીલ કરી છે કે તેઓ હિંસાથી દૂર રહે અને એવું કશું કામ ન કરે જેનાથી તણાવ વધે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનાં પ્રવક્તા સ્ટેફની દુજેરિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાકિસ્તાનની સ્થિતિ પર તેમનું નિરંતર ધ્યાન છે અને તેઓ પાકિસ્તાનની સ્થિતિ અંગે સતત સમીક્ષા કરી રહ્યાં છે. યુએન મહાસચિવે પણ બધા પક્ષોને વિવાદને કાયદાકીય રીતે ઉકેલવાની, માનવાધિકારો તથા કાયદાના શાસનનું પાલન કરવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં ગઈ આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. તેનાં પરિણામો જાહેર થવામાં ઘણા દિવસનું મોડું થયું હતું, જેના કારણે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપો થયા.
ઇમરાન ખાનની પાર્ટી પર ગેરરીતિના આરોપ
ચૂંટણીપરિણામોમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને સૌથી વધારે 101 સીટ પર જીત મળી છે. જ્યારે નવાઝ શરીફના નેતૃત્વ વાળી પાર્ટીને 75 અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટીને 54 સીટ પર જીત મળી છે. કેટલાક નેતાઓએ અદાલતમાં અરજી દાખલ કરીને ચૂંટણીપરિણામોની સમીક્ષા કરાવવાની માગણી કરી છે. તેથી પાકિસ્તાનમાં તણાવનું વાતાવરણ ઊભું થયું છે. પાકિસ્તાનમાં કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો. તેને જોતાં ગઠબંધનની સરકાર બનાવવાની કોશિશો થઈ રહી છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી વચ્ચે ગઠબંધન બાબતે વાતચીત ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે બંને પાર્ટીને અઢી અઢી વર્ષ માટે વડાપ્રધાનપદ મળી શકે છે.


