- UAE બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારની મુલાકાતે
- દોહામાં કતારના અમીર શેખ અલ થાની સાથે દ્વિપક્ષીય કરશે
- અબુધાબીમાં 27 એકરમાં નિર્માણ પામેલ મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના બે દિવસના પ્રવાસે છે. જેના ભાગ રૂપે ગઇકાલે તેમણે અબુધાબીના શેખ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાત અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પહેલા એરપોર્ટ પર પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધન કર્યું હતું. જેમાં, તેમણે ભારત ગ્લોબલ ઈકોનોમીનું કેન્દ્ર હોવાની વાત પર ભાર મૂક્યો હતો. બાદમાં, સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે UAEના પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું જેમાં ભારત UAEના સંબંધોને લઈને ઘણી વાતો કરી હતી.
પીએમ મોદી કતાર જવા રવાના
અબુધાબીમાં BAPS મંદિરના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો પૂર્ણ કરીને આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર જવા રવાના થયા છે. દોહામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
PM મોદીએ કર્યું અબુધાબીના BAPS મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે 27 એકરમાં નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ભારતની 7 પવિત્ર નદીઓના જળનો અભિષેક કર્યા બાદ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આજે વસંત પંચમીના દિવસે મહંત સ્વામી મહારાજ સહિત ગુરુજનોની હાજરીમાં વડાપ્રધાન મોદીએ UAEના ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.
ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન
છેલ્લા કેટલાય સમયથી હરિભક્તિ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે UAEના પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ આ કહ્યું કે આજે આજે અબુધાબીમાં BAPSના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમાં ભગવાન સ્વામીનારાયણનો આશિર્વાદ છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મારો સબંધ પિતા – પુત્ર જેવા હતા. જીવનમાં લાંબા સમય સુધી માંને તેમના આશીર્વાદ મળતા રહ્યા. સ્પષ્ટ શબ્દોમાં તેમણે હંમેશા માંને માર્ગદર્શન આપ્યું.
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન પહેલાં, વડાપ્રધાને મંદિરમાં કૃત્રિમ રીતે બનાવેલી ગંગા અને યમુના નદીઓને પાણી પણ અર્પણ કર્યું હતું. જણાવી દઈએ કે મંદિરના નિર્માણમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ફાઉન્ડેશન ભરવા માટે, કોંક્રિટ મિશ્રણમાં 55 ટકા સિમેન્ટની જગ્યાએ ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યા ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાના દર્શન કર્યા હતા. દર્શન બાદ પીએમ મોદીએ સમગ્ર મંદિરના દર્શન કરીને બેનમૂન નકકાશી કામ નિહાળી હતી. બાદમાં, પીએમ મોદીએ ખૂબ હથોડી અને ટાંકળી લઈને શિલ્પકારી પર હાથ અજમાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલ્પકારી કરીને અનોખી સંદેશ પાઠવ્યો હતો. તેમણે જે શિલ્પ પર પ્રતીકાત્મક શિલ્પકારી કરી હતી તેના પર વસુધૈવ કુટુંબકમ લખેલું હતું. આમ પીએમ મોદીએ સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો.
પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ ગ્લોબલ આરતીમાં જોડાયું આખું વિશ્વ
ઉદ્ઘાટન બાદ વિશ્વભરમાં એક સાથે ગ્લોબલ આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં, દિલ્હી અક્ષરધામ, મુંબઈ, નાગપુર, કોલકાતા, અમદાવાદ, જાલંધર, જયપુર, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ચેન્નાઈ, ઓસ્ટ્રેલીયા, ચીન, જાપાન, સિંગાપોર, ઓસાનિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકાના લોસ એન્જલિસ, ફોનિક્સ, ડલાસ ટેક્સાસ, હ્યુસ્ટન, શિકાગો, ડેટ્રોઇટ, વોશિંગ્ટન ડીસી, રૉબિન્સવિલે, એટલાન્ટા, રેલિઘ, સાસ્કાટૂન, ટોરેન્ટો, UKના લંડન અને લેસિસ્ટર, પોર્ટુગલ, ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રિયા, દક્ષિણ આફ્રિકા, બોત્સવના, ઝામ્બિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, સહિત વિશ્વના અનેક શહેરોમાં આરતી કરવામાં આવી.


